ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજીનામા આપ્યા બાદ રાજ્યનું રાજકારણ ગરમાયું છે. હવે આ બાબતમાં ગુજરાતના રાજકારણથી બીજા મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભાજપના મુખ્યમંત્રીના રાજીનામા બાદ હવે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પણ બદલાઈ તેવી શક્યતા રહેલી છે.
સૂત્રો અનુસાર મળી રહેલી માહિતી મુજબ, કોંગ્રેસ પણ આજે નવા પ્રદેશ પ્રભારીના નામની જાહેરાત કરે તેવી શક્યતા છે. નોંધનીય છે કે, તાજેતરમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ આ બાબતમાં નામની ચર્ચા માટે દિલ્હી પહોંચેલા છે. જ્યારે ઉચ્ચ નેતા સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ નવા નામની જાહેરાત કરવામાં આવી શકે છે.
જ્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજીનામા બાદ કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું, તેમણે આ મુખ્યમંત્રીના રાજીનામા અંગે જણાવ્યું હતું કે, સત્તાધારી ભાજપ પાર્ટીએ કોરોના કાળમાં લાખો લોકોને મોતના મુખમાં ધકેલાયા હતા, જેનો ભોગ વિજય રૂપાણી બન્યા છે. ભાજપના મુખ્ય નેતાઓએ મુખ્યમંત્રીને માત્ર તાળી અને થાળી વગાડવામાં જ વ્યસ્ત રખાયા. ભાજપ ચહેરો બદલશે પણ રીતિ અને નીતિ ને બદલી શકશે નહીં
તેની સાથે તેમણે એ પણ કહ્યું છે કે, મુખ્યમંત્રીના નામનો ફેરફાર કરવાનું માત્ર ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરાયું છે. ભાજપ ફરી ભાગલા પાડવાનું ષડયંત્ર રચાશે તેવી મને આશંકા રહેલી છે. કોરોના મહામારીના સમયમાં રાજ્યની પ્રજાને ખુબ સહન કરવું પડ્યું છે.
અત્યારની સત્તાધારી પાર્ટી લોકોને સુવિધા આપવામાં નિષ્ફળ નિવડી હતી. અનેક દર્દીઓ એમ્બ્યુલન્સ, બેડ, રેમડેસિવિર ઈન્જેક્શન માટે તરફડતા જોવા મળ્યા હતા. ઓક્સિજનના અભાવના કારણે અનેક પરિવારે પોતાના સ્વજનો ગુમાવવાનો વારો આવ્યો છે. ભાજપા દ્વારા છેલ્લા 20 વર્ષથી પ્રજામાં ભય, ભ્રમ ફેલાવવામ આવી રહ્યો છે. કોંગ્રેસ ભાજપાની નીતિઓ સામે હંમેશા અવાજ ઉઠાવતુ આવ્યું છે અને આ આંદોલનોને અમે આગળ વધારતા રહીશું.