ગુજરાતી દિગ્ગજ અભિનેતા ચંદ્રકાંત પંડયાનું અવસાન, 78 વર્ષે દુનિયાને કહી દીધું અલવિદા
દિગ્ગજ અભિનેતા ચંદ્રકાંત પંડયાનું અવસાન થયું છે. તેમનું અવસાન ટુંકી બિમારી બાદ થયું છે, તેમણે અનેક ગુજરાતી ફિલ્મોમાં અભિનય કર્યો છે. તેમના અવસાનથી તેમના ચાહકોમાં શોકની લાગણી છવાઈ ગઇ છે અભિનેતા ચંદ્રકાંત પંડ્યાનું 78 વર્ષની ઉમરે અવસાન થયું છે. તેમના અતિંમ સંસ્કાર મુંબઇ ખાતે કરાશે.
ચંદ્રકાંત પંડયાનું ગુજરાતી ફિલ્મમાં યોગદાન મહત્વનું રહ્યું છે. તેમને માનવીની ભવાઇ ફિલ્મ માટે રાષ્ટ્રીય એવાર્ડ પ્રાપ્ત થયો હતો. ગુજરાતી ફિલ્મ જગતમાં 100 થી વધુ ફિલ્મો, ગુજરાતી ટેલિવિઝનની સામાજિક, ધાર્મિક સિરિયલોમાં કામ કરતાં પીઢ અભિનેતા ચંદ્રકાન્ત પંડ્યાનો જન્મ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ભીલડી ગામે 1-1-1946 ના થયો હતો.
જ્યારે તેમના પિતા મગનલાલ પંડ્યા ધંધાઅર્થે મુંબઈ ખાતે સ્થાઈ થઈ ગયા હતા. ચંદ્રકાન્ત પંડ્યાને બાળપણથી જ નાટકોમાં રસ રહેલો હતો. બીએ સુધી અભ્યાસ કર્યા બાદ મુંબઈમાં ઉપેન્દ્ર ત્રિવેદી અને અરવિંદ ત્રિવેદીએ નાટકોમાં કામ કરવાની તક મલી હતી. ત્યાંથી તેમની કારકિર્દીની શરૂઆત થઈ હતી. અને કાદુ મકરાણી ફિલ્મથી બ્રેક મળ્યા બાદ તેમને ક્યારેય અભિનયમાં પાછું વળીને જોયું નહોતું. ગુજરાતી ફિલ્મ ઉધોગના 70 થી 90 ના સમયગાળો સુવર્ણકાળ તરીકે રહ્યો હતો.
તેની સાથે વિવિધ ભૂમિકાઓ ભજવી ચંદ્રકાન્ત પંડ્યાએ પોતાનો એક આગવો દર્શક વર્ગ બનાવ્યો હતો. જ્યારે ફિલ્મમાં હીરો તરીકે તો મહિયરની ચૂંદડી, શેઠ જગડુંશા, ભાદર તારા વહેતા પાણી, સોનબાઈની ચૂંદડી, પાતળી પરમાર સહિત 100 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. તેની સાથે રામાયણ સહિતની સિરિયલોમાં કામ કરી ખૂબ લોકપ્રિયતા હાંસલ કરી હતી. ચંદ્રકાન્ત પંડ્યાએ જુદા-જુદા સાત જેટલા એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.