ભારતે પાકિસ્તાનમાં છોડી મિસાઈલ? પાક.ની ઊંઘ હરામ…જાણો હકીકત

પાકિસ્તાનની સેનાએ ગુરુવારે દાવો કર્યો હતો કે ભારતે તેની એરસ્પેસમાં મિસાઈલ છોડી હતી. હવે આ અંગે ભારત તરફથી નિવેદન જારી કરવામાં આવ્યું છે. ડિફેન્સ વિંગ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં આ મિસાઈલ પાછળનું સમગ્ર સત્ય જણાવવામાં આવ્યું છે અને તેના વિશે સ્પષ્ટીકરણ પણ આપવામાં આવ્યું છે.

પાકિસ્તાન કેવી રીતે પહોંચી મિસાઈલ?
ડિફેન્સ વિંગના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે નિયમિત જાળવણી દરમિયાન ટેક્નિકલ ખામીને કારણે મિસાઇલ છોડવામાં આવી હતી. વધુમાં જણાવાયું હતું કે ભારત સરકારે આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લીધી છે અને આ માટે ઉચ્ચ સ્તરીય કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપ્યો છે.

ડિફેન્સ વિંગે પોતાના નિવેદનમાં કહ્યું કે, જાણવા મળ્યું છે કે મિસાઈલ પાકિસ્તાનની સીમામાં પડી છે. આ ઘટના ખૂબ જ ખેદજનક છે. પરંતુ રાહતની વાત એ છે કે આ અકસ્માતમાં કોઈનું મોત થયું નથી.

પાડોશી દેશમાં અશાંતિ
પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ બાબર ઈફ્તિખારે દાવો કર્યો હતો કે 9 માર્ચે સાંજે 6.43 કલાકે એક હાઈ-સ્પીડ ફ્લાઈંગ ઑબ્જેક્ટ ભારતીય ક્ષેત્રમાંથી ઉડાન ભરી અને રસ્તો ખોઈને પાકિસ્તાની વિસ્તારમાં પડી ગઈ. તેના પડવાથી નાગરિક વિસ્તારોને થોડું નુકસાન થયું હતું, પરંતુ તેમાં કોઈનું મૃત્યુ થયું નથી.

મેજર જનરલ ઈફ્તિખારે કહ્યું કે મિસાઈલ બુધવારે રાત્રે પંજાબના ખાનવાલ જિલ્લાના મિયાં ચન્નુ વિસ્તારમાં પડી હતી. તેને સપાટી પરથી લોન્ચ કરવામાં આવ્યો હતો. આની જાણ થતાં જ પાકિસ્તાની વાયુસેનાએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

તેમણે કહ્યું, ‘મિસાઈલના ઉડાનથી પાકિસ્તાન અને ભારત બંનેના નાગરિકો જોખમમાં મુકાઈ ગયા હતા. પાકિસ્તાન સેના દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે મિસાઈલને તોડી પાડવામાં આવી નથી, પરંતુ તે પોતાની જાતે જ પડી હતી. પ્રવક્તાએ કહ્યું કે મિસાઈલ 40 હજાર ફૂટની ઉંચાઈ પરથી પસાર થઈ રહી હતી જેના કારણે મોટી દુર્ઘટના થઈ શકે છે.

Scroll to Top