જિજ્ઞેશ મેવાણીએ વિજય રૂપાણીના રાજીનામા પાછળ ટ્વિટ કરી ને આપ્યું આવું કારણ

વિજય રૂપાણીના ગુજરાતના મુખ્યમંત્રી પદથી રાજીનામુ આપ્યા બાદ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. જ્યારે આ બાબતમાં જિજ્ઞેશ મેવાણી દ્વારા ભાજપ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે. જિજ્ઞેશ મેવાણી દ્વારા કહેવામાં આવ્યું છે કે ચહેરો બદલવાથી પાપ ધોવાશે નહીં.

જિજ્ઞેશ મેવાણી દ્વારા કોરોના વાયરસમાં સરકારની કામગીરીને લઈને કરવામાં આવેલ ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે, ભાજપ દ્વારા વિજય રૂપાણીને પોતાના ચૂંટણીના ફાયદા માટે હટાવી દેવાયા છે, ગુજરાતની જનતાને બરબાદ કરવા માટે નહીં. જનતા કોરોનામાં મરી રહી હતી ત્યારે રૂપાણી સરકારના પેટનું પાણી પણ હલ્યું નહોતું. ચહેરો બદલવાથી પાપ ધોવાઈ જતા નથી.

જયારે વધુ એક ટ્વિટમાં મેવાણીએ કહ્યું છે કે, જો કોરોનાની કટોકટીમાં કરવામાં આવેલા મિસમેનેજમેન્ટને લઈને વિજય રૂપાણી દ્વારા રાજીનામુ આપવામાં આવ્યું છે તો ગુજરાતની જનતાએ તેમની પ્રશંસા કરોત. પરંતુ આ રાજીનામું 2022 માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને અપાયું છે.

રાજીનામું આપ્યા બાદ વિજય રૂપાણીએ કહ્યું હતું કે, તેઓ ભારતીય જનતા પાર્ટીનો પોતાને સીએમની જવાબદારી સોંપવા બદલ આભાર માને છે. જ્યારે વધુ કહ્યું હતું કે, ગુજરાતની વિકાસયાત્રા નવા નેતૃત્વ હેઠળ આગળ વધે તેવી ઈચ્છા સાથે તેમણે રાજીનામું આપેલ છે. તેમણે જણાવ્યું છે કે, પક્ષ દ્વારા તેમને જે પણ જવાબદારી આપવામાં આવશે તેને તેઓ ખુશીથી નીભાવશે.

Scroll to Top