“ભાવભીની શ્રદ્ધાંજલિ ” ગરીબોને ખવડાવવા માટે પોતાની બધી મિલકતવેચનાર લંગર બાબા તરીકે જાણીતા પદ્મશ્રી જગદીશ લાલ આહુજાનું નિધન

લંગર બાબા તરીકે જાણીતા જગદીશ લાલ આહુજાનું સોમવારે અવસાન થયું. જગદીશ લાલ આહુજાને તેમના સામાજિક કલ્યાણના કાર્યોને ધ્યાનમાં રાખીને ગયા વર્ષે પદ્મશ્રી એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. જગદીશ લાલ આહુજા લાંબા સમય સુધી ચંદીગઢ પીજીઆઈની બહાર લંગર કરતા હતા. તેથી જ જગદીશ આહુજા લંગર બાબા તરીકે પ્રખ્યાત થયા.

લંગર બાબાનો જન્મ પટિયાલામાં થયો હતો. પરંતુ નાની ઉંમરમાં તેઓ ઘર છોડીને ચંદીગઢ આવી ગયા હતા. અહીં તેણે ફળો વેચવાનું શરૂ કર્યું. તેણે ચંદીગઢ અને તેની આસપાસ ઘણી સંપત્તિ બનાવી. તેમના પુત્રના આઠમા જન્મદિવસ નિમિત્તે બાબાએ લગભગ 100 લોકોને ખવડાવ્યું હતું. જે બાદ તેમણે આ લંગરની સેવા શરૂ કરી.

છેલ્લા 21 વર્ષથી પીજીઆઈની બહાર લંગર ચલાવતા હતા. આટલા વર્ષોમાં તેમનો લંગર એક દિવસ પણ બંધ ન થયો. તેમનો લંગર માત્ર કોરોના સમયગાળા દરમિયાન 7 દિવસ માટે બંધ હતો. તે દરરોજ 4 થી 5 હજાર લોકોને ભોજન કરાવતા હતા. લંગર બાબાએ કહ્યું કે તેઓ કોઈપણ વ્યક્તિને ભૂખ્યો જોઈ શકતા નથી. એટલા માટે અમે લંગરની સેવા ચલાવીએ છીએ.

લોકોને મફતનું ભોજન ખવડાવવા માટે તેણે તેના જીવન માટે કમાયેલી મિલકત પણ વેચી દીધી. થોડા વર્ષો પહેલા તેમને કેન્સર હોવાનું નિદાન થયું હતું. જેના કારણે તેઓ પોતે લંગર વહેંચવા નહોતા જઈ શક્યા, પરંતુ તેમ છતાં લંગર સેવા બંધ ન થઈ. તેમનું સમગ્ર જીવન ગરીબોની સેવામાં સમર્પિત કરવા બદલ ભારત સરકાર દ્વારા વર્ષ 2020 માં તેમને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમની ઈચ્છા પીજીઆઈમાં આવતા ગરીબ લોકો માટે ધર્મશાળા બનાવવાની હતી. આ માટે તેણે ચંદીગઢ પ્રશાસન પાસે જમીનની માંગણી પણ કરી હતી, પરંતુ તેની ઈચ્છા પૂરી થઈ શકી ન હતી.

Scroll to Top