અમૃતસર પોલીસે પતિની હત્યાના આરોપમાં પત્નીની ધરપકડ કરી છે. આરોપી મહિલાએ પોલીસને જણાવ્યું કે તેનો પતિ ઘણા સમયથી બીમાર હતો. જેના કારણે ઘર ચલાવવું મુશ્કેલ બની ગયું હતું. બાળકોના ભણતર માટે પૈસા નહોતા. આથી તેણે પોલિસીના 15 લાખ રૂપિયા માટે પતિની હત્યા કરી નાખી.
પંજાબના અમૃતસરમાં એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં વીમા પોલિસીના પૈસા પડાવવા માટે પત્નીએ તેના પતિની હત્યા કરી નાખી. પોલીસના હાથે ઝડપાયેલી મહિલાએ જણાવ્યું કે તેનો પતિ ઘણા સમયથી બીમાર હતો, જેના કારણે ઘર ચલાવવું મુશ્કેલ હતું. બાળકોના ભણતરનો ખર્ચ ઉઠાવવો પણ મુશ્કેલ બન્યો હતો.
ડીએસપી સુખવિન્દરપાલ સિંહે જણાવ્યું કે 5 મેના રોજ સવારે મનજીત સિંહ તેની પત્ની નરિંદર કૌર સાથે બિયાસ હોસ્પિટલમાં દવા લેવા નીકળ્યા હતા. આ પછી તેની લોહીલુહાણ લાશ દેહરીવાલના રોડ પર પડેલી મળી આવી હતી. તેની પત્નીને પણ ઈજા થઈ હતી. મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. ઇજાગ્રસ્ત પત્નીને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ પછી કેસની તપાસ શરૂ થઈ.
તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે મનજીત સિંહ છેલ્લા 20 વર્ષથી ઘણી બીમારીઓથી પીડિત હતા. તેની બિયાસની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. જેના કારણે બાળકોના ભણતરનો ખર્ચ અને ઘરનો ભરણપોષણ ભારે મુશ્કેલી સાથે થઈ રહ્યું હતું. જેના કારણે પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા.
મૃતકની પત્ની એલઆઈસી એજન્ટ હતી. તેણે તેના પતિનો 15 લાખ રૂપિયાનો વીમો કરાવ્યો હતો. નોમિની પોતે હતી. આવી સ્થિતિમાં તેને વિચાર આવ્યો કે જો તેના પતિની હત્યા થઈ જશે તો તેને વીમાના પૈસા મળશે. આ પછી તેણીએ તેના પતિની હત્યા કરવાની યોજના બનાવવાનું શરૂ કર્યું. એક દિવસ તે તેના પતિને દવા કરાવવા દવાખાને ગઈ અને રસ્તામાં તેનો પ્લાન પાર પાડ્યો.
ડીસીપી સુખવિંદર પાલ સિંહે જણાવ્યું કે મહિલાની તેના પતિની હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે. પોલીસને ગેરમાર્ગે દોરવા માટે હત્યાની ઘટનાને લૂંટની ઘટના ગણાવી હતી.