મહારાષ્ટ્રના પુણેમાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક 11 વર્ષના બાળકને તેના માતા-પિતાએ બે વર્ષથી 20 કૂતરા સાથે રૂમમાં બંધ કરીને રાખ્યો હતો. એક NGOની મદદથી પોલીસે બાળકને બચાવી લીધો છે અને તેના માતા-પિતા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.
પોલીસે બાળકને બચાવી લીધો હતો
પોલીસે જણાવ્યું કે આરોપી માતા-પિતા વિરુદ્ધ બાળ ન્યાય (બાળકોની દેખરેખ અને સંરક્ષણ) એક્ટ-2000 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે છોકરાને એક NGOની મદદથી ઘરની બહાર લાવવામાં આવ્યો હતો. હજુ સુધી આ કેસમાં કોઈની ધરપકડ કરવામાં આવી નથી.
માતા-પિતાએ બાળકને કૂતરા સાથે રાખ્યો હતો
એક NGO ચાઈલ્ડલાઈનના સ્વયંસેવકે પોલીસને જણાવ્યું કે, પુણેના કોંધવા વિસ્તારમાં એક ફ્લેટની અંદર 11 વર્ષના બાળકને 20 થી 22 કૂતરાઓ સાથે રહેવાની ફરજ પાડવામાં આવી છે. ફરિયાદીએ જણાવ્યું કે, જ્યારે તે 5 મેના રોજ તે ફ્લેટમાં ગયો ત્યારે તેણે એક બાળકને બારી પાસે કૂતરાઓ સાથે બેઠેલું જોયું હતું. ઘરની અંદરથી દુર્ગંધ આવી રહી હતી.
NGOની મદદથી પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે
જ્યારે ફરિયાદીએ બાળકના માતા-પિતા સાથે વાત કરી તો ખબર પડી કે બાળક શાળાએ જતો નથી. આ પછી ફરિયાદીએ વાલીઓને બાળકોને કૂતરા સાથે ન રાખવાની સલાહ આપીને શાળામાં એડમિશન લેવા કહ્યું. પરંતુ બાળકના પરિવારજનોએ તેમની વાત પર ધ્યાન આપ્યું ન હતું. આ પછી તેણે પોલીસને આ બાબતની જાણ કરી.
બાળકને શેલ્ટર હોમમાં દાખલ કરવામાં આવ્યો
પોલીસ અધિકારીએ જણાવ્યું કે જ્યારે પોલીસ 9 મેના રોજ સ્થળ પર પહોંચી ત્યારે બાળકના માતા-પિતા બહાર ગયા હતા. પોલીસને બાળક ઘરની અંદરથી મળી આવ્યું હતું. અધિકારીએ કહ્યું, “બાળ કલ્યાણ સમિતિની મદદથી તે જ દિવસે છોકરાને બચાવી લેવામાં આવ્યો હતો અને પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.” અધિકારીએ કહ્યું કે છોકરાની રીતભાત કૂતરાઓ જેવી હતી. તેને ચિલ્ડ્રન શેલ્ટર હોમમાં દાખલ કરવામાં આવ્યો છે. વધુ તપાસ ચાલુ છે.