બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસને શાનદાર જીત સાથે બહુમત મળ્યા બાદ પક્ષના સુપ્રીમો મમતા બેનર્જીએ સોમવારે સાંજે રાજ્યપાલ સાથે મુલાકાત કરીને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે. મમતા બેનર્જીએ સોમવારે નવા ચૂંટાયેલા ધારાસભ્યો સાથે બેઠક કરી. બેઠક દરમિયાન પાર્ટીના નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ મમતાને સર્વસંમતિથી વિધાનસભા પક્ષના નેતા ચૂંટ્યા હતા. આગામી 5મી મે બુધવારે શપથ ગ્રહણ સમારોહ યોજાશે. આ પહેલા બંગાળ વિધાનસભાની ચૂંટણી 2021 માં તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) ની પ્રચંડ જીત બાદ પક્ષના સુપ્રીમો અને મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોમવારે નવા ચૂંટાયેલા ધારાસભ્યો સાથે બેઠક કરી હતી.
તૃણમૂલ મુખ્યાલયમાં યોજાયેલ બેઠક દરમિયાન પાર્ટીના નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ મમતાને સર્વસંમતિથી ધારાસભ્ય પક્ષના નેતા તરીકે ચૂંટ્યા છે. અહીં મમતા સાંજે રાજ્યપાલને મળવા પહોંચ્યા હતા. બેઠક બાદ પત્રકાર પરિષદમાં પાર્ટીના મહાસચિવ અને રાજ્યના શિક્ષણમંત્રી પાર્થ ચેટર્જીએ જણાવ્યું છે કે, બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, આગામી 5 મે ના રોજ શપથ ગ્રહણ સમારોહ યોજાશે. જેમાં મમતા બેનર્જી સતત ત્રીજી વખત બંગાળમાં મુખ્યમંત્રી પદના શપથ લેશે. મુખ્યમંત્રી ઉપરાંત કેબિનેટના અન્ય સભ્યો પણ આ દિવસે શપથ લેશે. આ સાથે જ 6 મે થી વિધાનસભાના સત્રનું પણ આયોજન કરવામાં આવશે. આમાં બધા નવા ચૂંટાયેલા ધારાસભ્યોને શપથ અપાવવામાં આવશે.
જ્યારે ચેટર્જીએ કહ્યું છે કે, બેઠક દરમિયાન પ્રોટેમ સ્પીકરની પણ પસંદગી કરવામાં આવી છે. વિધાનસભાના નિવર્તમાન અધ્યક્ષ વિમાન બેનર્જીને જ આ વખતે પ્રોટેમ સ્પીકર તરીકે નિમણૂક કરવામાં આવી છે. બેનર્જી જ બધા ધારાસભ્યોને શપથ ગ્રહણ અપાવશે.
બેઠક દરમિયાન મમતાએ ચૂંટણીમાં પ્રચંડ જીત માટે બંગાળની જનતા અને તેનો સાથ આપનાર બધા લોકોનો આભાર માન્યો છે. તેમને કાર્યકર્તાઓનો પણ આભાર માન્યો છે. મમતાએ આ દરમિયાન કહ્યું છે કે, હાલના સમયમાં કોવિડ -19 લોકોને સુરક્ષિત રાખવા તેની પહેલી પ્રાથમિકતા છે. મમતાએ એક દિવસ પહેલા જ સ્પષ્ટ કરી દીધું હતું કે, આ વખતે કોવિડ -19 ને કારણે મોટા પાયે શપથ ગ્રહણ સમારોહ કરવામાં આવશે નહીં.
અહીં બંગાળને જીત્યા બાદ પણ નંદીગ્રામ સીટ પર હારનો સામનો કરનાર બંગાળની મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસ પ્રમુખ મમતા બેનર્જી સોમવારે મોટો આરોપ લગાવ્યો છે. મમતાએ ચૂંટણી પરિણામના બીજા જ દિવસે નંદીગ્રામમાં ગડબડી નો આરોપ લગાવતા દાવો કર્યો છે કે, તેમની સાથે છેતરપિંડી થઇ છે. મમતાએ તેની સાથે જણાવ્યું છે કે, ‘મને કોઈએ મેસેજ મોકલ્યો હતો કે, નંદિગ્રામના રિટર્નિંગ ઓફિસરે કોઈને પત્ર લખ્યો હતો કે જો તેમના વતી ફરીથી ગણતરીનો આદેશ આપવામાં આવે તો જીવને જોખમ થઇ શકે છે. જો કે ગવર્નરે પણ મને શુભેચ્છા આપી હતી. એ પછી અચાનક જ બધી વસ્તુ બદલાઈ ગઈ.’
ચૂંટણી પરિણામ
કુલ બેઠકો -294, 292 બેઠકો પર યોજાઈ હતી ચૂંટણી
- તૃણમૂલ કોંગ્રેસ – 213
- ભાજપ -77
- કોંગ્રેસ -00
- સીપીઆઇ (એમ) – 00
- અપક્ષ – 1
- અન્ય -1
- કુલ બેઠકો – 292
2016 ની ચૂંટણીનું પરિણામ
- તૃણમૂલ કોંગ્રેસ – 211
- કોંગ્રેસ -44
- સીપીઆઈ (એમ) -26
- ભાજપ – 3
- આરસીપી -3
- અપક્ષ -1
- અન્ય -6
- કુલ બેઠકો -294