ગાંધીનગરના ઢોલકુવા કટ પાસે સોમવારે સવારે એક માર્ગ અકસ્માતમાં એક્ટિવા પર સવાર માતા અને પુત્રીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે પુત્ર ઘાયલ થયો હતો. જોકે, પુત્રને સામાન્ય ઈજાઓ થઈ છે. અહીંથી પસાર થતા લોકોના જણાવ્યા મુજબ, પાછળથી આવતી એક સ્પીડિંગ કારે આ એક્ટિવાને ટક્કર મારી હતી અને કારચાલક સ્થળ પરથી ભાગી ગયો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધી કાર ચાલકની શોધખોળ શરૂ કરી છે.
દીકરી કરી રહી હતી UPSC ની તૈયારી: પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, શાહીબાગમાં રહેતા યોગીનીબેન મહેશભાઈ ત્રિવેદી (ઉંમર 47), પુત્રી જામિની (ઉંમર 21) અને પુત્ર રાહુલ (21) એક્ટિવા પરથી ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન, તે અકસ્માતનો શિકાર બન્યા હતા. દીકરી જામિની UPSC ની તૈયારી કરી રહી હતી.
એક વર્ષ પહેલા થયેલ પિતાનું મૃત્યુ: અકસ્માતનું એક દર્દનાક પાસું એ પણ છે કે યોગીનીબેનના પતિનું કેન્સરને કારણે એક વર્ષ પહેલા નિધન થયું હતું. હવે માતા અને બહેનના અચાનક નિધનને કારણે પરિવારમાં માત્ર રાહુલ જ બચ્યો છે. પોલીસે કેસ નોંધ્યો છે અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા છે. જયારે, સીસીટીવી ફૂટેજ પરથી કારના ડ્રાઈવરની શોધ ચાલુ છે.
જો કે ભારતમાં ઘણીવાર આવું થાય છે. કેટલાક વ્યક્તિ પગપાળા અથવા સાયકલ પર રસ્તા પર જઈ રહ્યા હોય છે અને કેટલાક વાહન ચાલક તેને ટક્કર મારી અને ભાગી જાય છે ત્યારે આ અકસ્માતને હિટ એન્ડ રન અકસ્માત કેટેગરીમાં ગણવામાં આવે છે.
દર વર્ષે હજારો લોકો આવા હિટ એન્ડ રન કિસ્સાઓમાં ગંભીર રીતે ઘાયલ થાય છે. તો હજારો લોકો પોતાનો જીવ પણ ગુમાવે છે. આવા કિસ્સામાં ગુનેગારને ઘણીવાર પકડી શકાતા નથી. તેથી મૃતકોના પરિવારોને યોગ્ય મદદ પણ મળતી નથી.