પંજાબ નેશનલ બેંક સાથે સંબંધિત છેતરપિંડીના આરોપી મેહુલ ચોક્સીને ડોમિનિકાની અદાલત દ્વારા ભારત મોકલાશે, તો આ કેસની તપાસ અધિકારી શારદા રાઉત તેને ફરીથી દિલ્હી પરત લાવશે. તે ડોમિનિકામાં હાજર 6 સભ્યોની સીબીઆઈ ટીમનું આગેવાની કરી રહી છે.
શારદા રાઉત મેહુલ ચોક્સીને પકડવાના ઓપરેશનની આગેવાની કરી રહી છે. સૂત્રો મુજબ જાણવા મળ્યું છે કે, જો ત્યાંની કોર્ટ મેહુલ ચોક્સીને તેના દેશમાંથી દેશનિકાલ કરવાના આદેશ આપશે, તો સીબીઆઈની ટીમ દ્વારા મેહુલને એક ખાનગી જેટમાં દિલ્હી લાવવામાં આવશે. શારદા રાઉત ભારતીય ધરતી પર ઉતાર્યા બાદ તેની ધરપકડ કરશે.
ભારતીય અધિકારીઓએ ડોમિનિકન અધિકારીઓ સાથે ઘણી બેઠકો યોજી છે. તેથી બુધવારે સુનાવણી દરમિયાન ભારતના કેસની ભારપૂર્વક રજૂઆત થાય તે સુનિશ્ચિત કરાયું છે.
પ્રાપ્ત માહિતી મુજબ જાણવા મળ્યું છે કે, મેહુલની ગુનાહિત પ્રવૃત્તિઓની વિગતો સાથે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટનું સોગંદનામું બુધવાર સાંજ સુધીમાં ડોમિનિકન કોર્ટમાં દાખલ કરાશે. જેમાં કહેવામાં આવશે કે, તે કેવી રીતે ભારતીય નાગરિક છે અને કયા આધારે તેને ભારત દેશનિકાલ કરવામાં આવશે.
સૂત્રો મુજબ, ડોમિનિકન ફરિયાદી દ્વારા ઇડી અને સીબીઆઈ કોર્ટને ખાતરી આપવાનો પ્રયત્ન કરશે કે તેમની કસ્ટડીમાં રહેલી વ્યક્તિ જાન્યુઆરી, 2018 થી ભારતનો વોન્ટેડ આરોપી છે. ઇન્ટરપોલની રેડ નોટિસના આધારે તેમને તાત્કાલિક પાછા ભારત મોકલવા આવે. મેહુલ ચોક્સીને નવેમ્બર 2017 માં એન્ટિગુઆની નાગરિકતા અપાઈ હતી. તેમ છતાં તેણે ક્યારેય ભારતીય નાગરિકત્વ સોંપવાની પ્રક્રિયા પૂર્ણ કરી નથી અને આજે પણ તે ભારતીય નાગરિક રહેલ છે.
મેહુલ ચોક્સી જે 23 મી મેના રોજ એન્ટિગુઆથી રહસ્યમય રીતે ગુમ થઈ ગયો હતો. તેને ડોમિનિકન પોલીસે ગેરકાયદેસર રીતે તેમના દેશમાં પ્રવેશ કરવાના કારણે ધરપકડ કરી લીધી હતી. મેહુલે આ દરમિયાન આરોપ લગાવ્યો છે કે, સંભવત તેને ભારતીય અને એન્ટિગુઆન અધિકારીઓ દ્વારા એન્ટિગુઆથી અપહરણ કરાયું હતું. તેને માર મારવામાં પણ આવ્યો હતો અને ત્યારબાદ તેને ડોમિનિકા લઈ જવામાં આવ્યો હતો. ત્યાં પોલીસ અધિકારી દ્વારા તેની ષડયંત્ર હેઠળ ધરપકડ કરાઈ હતી.