મહારાષ્ટ્ર નિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ જાહેરાત કરી છે કે તેઓ 5 જૂને અયોધ્યા જશે, જ્યાં તેઓ રામ લલ્લાના દર્શન કરશે. રાજ ઠાકરે છેલ્લા કેટલાક દિવસોથી લાઉડસ્પીકર પર અઝાન વિરુદ્ધ બોલી રહ્યા છે અને તેના જવાબમાં હનુમાન ચાલીસા વાંચવાની અપીલ કરી રહ્યા છે.
પુણેમાં પત્રકારો સાથે વાત કરતા રાજ ઠાકરેએ કહ્યું કે તેઓ ભગવાન રામના આશીર્વાદ લેવા માટે તેમના પક્ષના સાથીદારો સાથે અયોધ્યા જવાની યોજના ધરાવે છે. MNS વડાએ એવી પણ જાહેરાત કરી હતી કે તેઓ 1 મેના રોજ ઔરંગાબાદમાં જાહેર રેલીને સંબોધિત કરશે. જ્યારે ઠાકરેને અયોધ્યા જવાના હેતુ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે તેઓ ઘણા સમયથી ક્યાંય ગયા નથી, તેથી તેઓ અયોધ્યા જશે.
એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા MNS ચીફે કહ્યું કે તેમણે આજે બે જાહેરાત કરવાની છે. તેમણે કહ્યું- ‘1 મેના રોજ હું ઔરંગાબાદના સંભાજીનગરમાં જનસભાને સંબોધિત કરીશ. 5 જૂને હું MNS સ્વયંસેવકો સાથે દર્શન માટે અયોધ્યા જઈશ.’
રાજ ઠાકરે પહેલા શિવસેનાના નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી આદિત્ય ઠાકરેએ અયોધ્યા જવાની જાહેરાત કરી છે. આદિત્યએ જાહેરાત કરી છે કે તેઓ મેના પહેલા સપ્તાહમાં અયોધ્યા જશે. પાર્ટીના સાંસદ સંજય રાઉતના જણાવ્યા અનુસાર, શિવસેનાએ પાર્ટીના નાસિક યુનિટ સાથે મળીને આદિત્યની અયોધ્યાની પ્રસ્તાવિત મુલાકાતની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
રાજ ઠાકરેએ તેમની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ફરી એકવાર લાઉડસ્પીકરને લઈને નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે આ કોઈ ધાર્મિક મુદ્દો નથી પરંતુ સામાજિક મુદ્દો છે. તેમણે કહ્યું કે 3 મે સુધીમાં મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવી લેવા જોઈએ, નહીં તો તે પછી MNS મસ્જિદોની સામે લાઉડસ્પીકર પર હનુમાન ચાલીસા વગાડશે.
ઠાકરેએ કહ્યું- હું તમામ હિન્દુ ભાઈઓને તૈયાર રહેવાની અપીલ કરું છું. અમે 3 મે સુધી રાહ જોઈશું, જ્યારે રમઝાન સમાપ્ત થશે, પરંતુ જો તેઓ તેને રોકશે નહીં અને જો તેઓને લાગે છે કે તેમનો ધર્મ કોર્ટ કરતા મોટો છે, તો અમે જે પણ થશે તે કરીશું.”