મોદી અટકના માનહાનિના કેસમાં સુરત કોર્ટે આજે રાહુલ ગાંધીને પાઠવ્યું સમન્સ, શું હાજર થઈ શકશે કોંગ્રેસ નેતા?

રાહુલ ગાંધીને ‘મોદી’ સરનેમને લઈને માનહાનિના કેસમાં ગુજરાતની સુરત કોર્ટે સમન્સ પાઠવ્યા છે. સુરતની મેજિસ્ટ્રેટ કોર્ટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ‘મોદી સરનેમ’ પર તેમની કથિત ટિપ્પણી બદલ તેમની સામે નોંધાયેલા ફોજદારી માનહાનિના કેસના સંબંધમાં તેમનું નિવેદન નોંધવા માટે આજે 29 ઓક્ટોબરે હાજર રહેવાનો આદેશ આપ્યો છે.

ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એએન દવેએ રાહુલ ગાંધીને નિવેદન નોંધવા માટે 29 ઓક્ટોબરે હાજર થવાનો નિર્દેશ આપ્યો છે. કોંગ્રેસ નેતા છેલ્લે આ વર્ષે 24 જૂને કોર્ટમાં હાજર થયા હતા અને ત્યારથી બે નવા સાક્ષીઓના નિવેદનો નોંધવામાં આવ્યા છે.

આ અગાઉ રાહુલ ગાંધી ઓક્ટોબર 2019 માં કોર્ટમાં હાજર થયા હતા અને તેમની ટિપ્પણી માટે દોષ સ્વીકાર્યો ન હતો. રાહુલ ગાંધીના વકીલ કિરીટ પાનવાલાએ કહ્યું કે, “કોર્ટે રાહુલ ગાંધીને બે નવા સાક્ષીઓના નિવેદનો પર તેમનું નિવેદન નોંધવા માટે 29 ઓક્ટોબરે હાજર થવાનો મૌખિક નિર્દેશ આપ્યો છે.” તે દિવસે બપોરે 3 થી 6 દરમિયાન કોર્ટમાં હાજર થાય તેવી શક્યતા છે.

સુરતના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ એપ્રિલ 2019માં ગાંધી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 499 અને 500 હેઠળ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં ધારાસભ્યએ આરોપ લગાવ્યો છે કે ગાંધીએ 2019માં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે ‘બધા ચોરોને મોદી સરનેમ કેવી રીતે છે?’ એમ કહીને સમગ્ર મોદી સમુદાયનું અપમાન કર્યું હતું.

પૂર્ણેશ મોદી હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળની સરકારમાં મંત્રી છે અને તેમની પાસે માર્ગ અને મકાન, પરિવહન, નાગરિક ઉડ્ડયન અને પ્રવાસન અને યાત્રાળુ વિકાસ વિભાગોનો હવાલો છે. રાહુલ ગાંધીની કોર્ટમાં છેલ્લી હાજરીથી, કર્ણાટકના કોલારમાં તત્કાલિન રિટર્નિંગ ઓફિસર અને ભાષણ રેકોર્ડ કરનાર ચૂંટણી પંચના વીડિયો રેકોર્ડર દ્વારા વધુ બે સાક્ષીઓના નિવેદનો નોંધવામાં આવ્યા છે. કોંગ્રેસના નેતાએ કોલારમાં જ ભાષણ આપ્યું હતું.

કોલારમાં 13 એપ્રિલ, 2019ના રોજ લોકસભા ચૂંટણી પહેલા એક રેલીમાં આપેલા ભાષણમાં કોંગ્રેસના નેતાએ કહ્યું હતું કે, “નીરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદી…તે બધાની મોદીની અટક કેવી રીતે છે. બધા ચોરની મોદી અટક કેવી રીતે આવે છે?’ હવે જોવાનું એ રહેશે કે રાહુલ ગાંધી આજે સુરત કોર્ટમાં હાજર થાય છે કે નહીં.

Scroll to Top