શું આવી ગઈ કોરોનાની ત્રીજી લહેર? એકલા જયપુરમાં 10,000 થી વધુ બાળકો પોઝીટિવ

કોરોનાની બીજી લહેર હજુ શમી નથી ત્યાં ત્રીજી લહેરના આગમનથી સ્થિતિ વધુ ભયજનક બની છે. તબીબી નિષ્ણાતોએ કોરોનાની ત્રીજી લહેર (Corona’s third wave) માં બાળકોને અસર થઈ શકે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે આવામાં સવાલ એ ઉભો થાય છે કે ત્રીજી લહેર આવી ગઈ છે કે કેમ? કારણ કે રાજસ્થાનમાં એપ્રિલ અને મે મહિનામાં મોટી સંખ્યામાં બાળકો કોરોના પોઝિટિવ (Children corona positive) થયા છે.

રાજ્યના અન્ય જિલ્લાઓની જેમ રાજધાની જયપુરમાં પણ ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. એપ્રિલ અને મે મહિનામાં એક તરફ 10 વર્ષની વયના સાડા ત્રણ હજારથી વધુ બાળકો પોઝીટીવ થઇ ગયા છે, જ્યારે 11 થી 20 વર્ષની વચ્ચેના 10,000 થી વધુ બાળકો કોરોનાથી સંક્રમિત થઇ ચુક્યા છે. આના પરથી અંદાજો લગાવી શકાય છે કે રાજ્યભરમાં તેની સંખ્યા કેટલી હોય શકે છે.

કોરોનાની બીજી લહેરમાં હવે નવા કેસોમાં થોડો ઘટાડો થઇ ગયો છે. પરંતુ હવે તેની ત્રીજી લહેર અંગેની ચિંતા વધવા લાગી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ત્રીજી લહેરમાં બાળકોને સૌથી વધુ અસર થશે, પરંતુ રાજસ્થાનમાં તો બાળકો કોરોનાથી સંક્રમિત બીજી લહેરમાં થવા લાગ્યા છે. આરોગ્ય વિભાગના આંકડા મુજબ, એપ્રિલ અને મે મહિનામાં, જયપુરમાં 10 વર્ષ સુધીના 3 હજાર 589 અને 11 થી 20 વર્ષની સુધીના 10 હજાર 22 છોકરાઓ કોરોના પોઝીટીવ થઇ ગયા છે.

આંકડા પર એક નજર

  • એપ્રિલમાં 0 થી 10 વર્ષની વયના કુલ 1672 બાળકો પોઝીટિવ થયા છે.
  • એપ્રિલમાં 11 થી 20 વર્ષની વયના 4681 બાળકો પોઝીટિવ થયા છે.
  • 1 મેથી 23 મે સુધી, 0 થી 10 વર્ષના 1917 બાળકો પોઝીટિવ થયા છે.
  • 1 થી 23 મે સુધી, 11 થી 20 વર્ષની વયના 5341 બાળકો પોઝીટિવ થયા છે.

60,000 થી વધુ લોકો 2 મહિનામાં કોરોના પોઝીટીવ

બીજી લહેરમાં જયપુરમાં 21 થી 40 વર્ષની વયના લોકો પર કોરોનાનું જોખમ સૌથી વધારે જોવા મળી રહ્યું છે. આ વય જૂથના 60,000 થી વધુ લોકો 2 મહિનામાં પોઝીટિવ થયા છે, પરંતુ આટલી મોટી સંખ્યામાં બાળકો પોઝીટિવ થવાને કારણે ચિંતાઓ વધી ગઈ છે. જો તમે આ વર્ષની શરૂઆતના મહિનાઓ પર નજર નાખો તો પરિસ્થિતિ સાવ અલગ જ દેખાશે. આ વર્ષે જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં, જયપુરમાં માત્ર 20 વર્ષ સુધીના 431 બાળકો પોઝીટિવ હતા.

જો બાળકોને સંક્રમણથી બચાવવું હોય તો સાવચેતી રાખવી જરૂરી છે

જયપુરના સીએમએચઓ, ડૉ.નરોત્તમ શર્મા કહેવું છે કે એપ્રિલ અને મે મહિનામાં કોરોનાની બીજી લહેર જોવા મળી હતી. મોટી સંખ્યામાં લોકો પોઝીટિવ થયા છે. આ સમય દરમિયાન, કોરોના માર્ગદર્શિકાનું પાલન પણ સંપૂર્ણ રીતે કરવામાં આવતું ન હતું. આને કારણે બાળકો પણ કોરોનાથી સંક્રમિત થયા છે. આવી સ્થિતિમાં બાળકોને આ કોરોના સંક્રમણથી બચાવવા માટે ઘણી સાવચેતી રાખવી જરૂરી છે.

ઉલ્લેખનીય છે કે, ત્રીજી લહેર પહેલા જ બાળકોમાં કોરોનાના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. મહારાષ્ટ્ર, કર્ણાટક જેવા રાજ્યોમાં બાળકોમાં ખૂબ જ ઝડપથી સંક્રમણ ફેલાઈ રહ્યું છે. નિષ્ણાતોના મતે કોરોનાની ત્રીજી લહેર બાળકો માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. ત્રીજી લહેરમાં બાળકો સૌથી વધારે કોરોના પોઝિટિવ આવશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

Scroll to Top