કોરોના વાયરસના વધતા કેસોને લઈને સમગ્ર ભારતમાં હાહાકાર મચેલો છે. ઘણા રાજ્યોમાં કોરોના ઝડપથી ફેલાઇ રહ્યો છે. કોરોના આતંકને ઘટાડવા માટે ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળી મહારાષ્ટ્ર સરકારે 20 એપ્રિલ સુધી રાજ્યમાં લોકડાઉન લગાવી દીધું છે.
આ લોકડાઉનની અસર ટીવી સિરિયલો અને ફિલ્મ્સના શૂટિંગ પર પડી છે. શૂટિંગ સ્ટુડિયો બંધ થઈ ગયા છે. જેના લીધે નાની ભૂમિકા ભજવનાર પાસે કામ નથી જેના કારણે તેઓ આર્થિક સંકટનો પણ સામનો કરી રહ્યા છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ના નટ્ટુ કાકા એટલે કે ઘનશ્યામ નાયકની પણ આવી જ સ્થિતિ છે.
કોરોનાએ લોકોને ઘરોમાં રહેવા માટે મજબૂર કર્યા છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ના નટ્ટુ કાકા પણ ઘરે છે. તાજેતરમાં જ તેણે ટાઇમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા એક મહિનાથી ઘરે છે.
ઘનશ્યામ નાયકે જણાવ્યું હતું કે, કોરોના વાયરસ રોગચાળાને કારણે શોનું શૂટિંગ સંપૂર્ણપણે બંધ થઈ ગયું છે. તેમને એ પણ જાણ નથી કે, તેમને શૂટિંગ માટે ફરીથી ક્યારે બોલાવવામાં આવશે અથવા શોમાં તેમના પાત્રનું શૂટિંગ ક્યારે શરૂ કરવામાં આવશે. વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે મેં માર્ચમાં શો માટે એક એપિસોડ શૂટ કર્યો હતો. હું આ પછી ઘરે છું. નિર્માતાઓએ શૂટિંગનું સ્થાન બદલવાનો કોઈ વિચાર પણ કર્યો નથી.
નટ્ટુ કાકાએ જણાવ્યું હતું કે, વધુ ઉંમર હોવાના કારણે તેમનો પરિવાર તેના માટે ચિંતિત છે. તેથી ઘરના સભ્યોએ તેને ઘરની બહાર જવાની મનાઈ ફરમાવી છે, પરંતુ તે સેટ પર આવવા માંગે છે. તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં લોકડાઉન પહેલા સમાચાર આવ્યા હતા કે શોમાં ગોલીનું પાત્ર નિભાવનાર કુશ શાહ સહિત ઘણા અભિનેતા કોરોના સંક્રમિત થયા હતા. તેમ છતાં હવે તેમની તબિયત સારી થઈ ગઈ છે.