Featured

વિશ્વમાં પહેલીવાર નવકાર મહામંત્રના 99,99,99,999 જાપનો અભૂતપૂર્વ અનુષ્ઠાન યોજાઈ રહ્યો છે

મુંબઈ, 24 મે 2020: વિશ્વમાં પહેલીવાર 99,99,99,999 નવકાર મહામંત્ર જાપ અનુષ્ઠાન યોજાઈ રહ્યો છે. મુંબઈ સ્થિત નવકાર પરિવારના નેજા હેઠળ આ અનુષ્ઠાન ફેસબુક લાઇવ અને અન્ય ઓનલાઇન પ્લેટફોર્મ્સના સમન્વયથી થશે. આજ પહેલાં દુનિયમાં ભાગ્યે જ કોઈ ધર્મમાં આ રીતે કોઈ પવિત્ર મંત્રના જાપનો આવો પ્રયોગ થયો છે. રવિવાર 31 મે 2020ના રોજ સવારે 08.41ના શુભ મુહૂર્તે ચાર કલાક ચાલનારા આ અનુષ્ઠાનનો પ્રારંભ થશે.

કોરોનાવાઇરસના સંકટ સમયે નવકાર મહામંત્રની ચમત્કારિક શક્તિઓથી જીવમાત્રને શાતા પહોંચાડવાનો શુભ ઉદ્દેશ અનુષ્ઠાનનો છે. પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબની પ્રેરણાથી અનુષ્ઠાનના પ્રથમ ચરણનું 2014 માં મુંબઈમાં આયોજન થયું હતું. એમાં 13 કરોડથી વધુ નવકાર જાપ થયા હતા. આ વખતે 99 કરોડથી વધુ જાપનું લક્ષ્ય રખાયું છે. જૈન સમાજના ચારેય ફિરકાનાં અનેક સાધુ-સાધ્વી ભગવંતોના આશીર્વાદ અને તેમની પાવન નિશ્રા જાપ અનુષ્ઠાનને પ્રાપ્ત છે.

નવકાર પરિવારના ફેસબુક પેજ પર અનુષ્ઠાન થશે, જેને સોશિયલ મીડિયાનાં વિવધ માધ્યમોથી સાંકળી લેવામાં આવ્યું છે. નિયત સમયે ભાવિકો પેજ સાથે સંકળાઈને જાપ અનુષ્ઠાનમાં જોડાશે. ચાર કલાક તેઓ નવકાર મહામંત્રની માળા કરશે.

પ્રત્યેક ભાવિકે કરેલા નવકાર મહામંત્રના જાપની ગણતરી આયોજનબદ્ધ રીતે થશે. તેના સરવાળાથી 99 કરોડથી વધુ જાપના લક્ષ્યને સિદ્ધ કરાશે. આ અનુષ્ઠાન વિશે દુનિયાના વિવિધ દેશોમાં કાર્યકર્તાઓ ઉત્સ્ફુર્તપણે જાગૃતિ પ્રસરાવી રહ્યા છે. વિવિધ સાધુ-સાધ્વી ભગવંતો પણ અનુષ્ઠાનમાં જોડાવા ભાવિકોને પ્રેરી રહ્યાં છે.

બેઉ નવકાર જાપ અનુષ્ઠાનની પરિકલ્પના કરનારા નવકાર પરિવારના ધર્મેશભાઈ શાહે જણાવ્યું હતું, “મનુષ્યોએ કરેલાં અનેક પ્રકૃતિ વિરુદ્ધનાં કાર્યોને લીધે આજે આપણે આ પરિસ્થિતિનો સામનો રહી રહ્યા છીએ.

માનવજાતને પાઠ ભણાવવાના અને સાચા માર્ગે વાળવાના હેતુ સાથે કદાચ પ્રકૃતિએ આ સમય આપણને દેખાડ્યો છે. કોરોનાવાઇરસનું સંકટ ખાળવું અત્યંત દુષ્કર થયું છે. પ્રબળ ધર્મભાવના અને ઈશ્વર પરનો અડગ વિશ્વાસ આપણું આ સંકટસમયે દિશાસૂચન કરી શકે છે. નવકાર મહામંત્રમાં અનન્ય શક્તિ હોવાનું શાસ્ત્રોક્ત રીતે સિદ્ધ છે. શ્રાવક તરીકે આપણા સૌની એટલી ભાવના છે કે આ અનુષ્ઠાન આપણને પીડા-સમસ્યાના નિવારણમાં મદદરૂપ થાય.”

વિશ્વ અને રાષ્ટ્રીય વિક્રમોની નોંધ લેતાં પ્રકાશનો અને સંસ્થાઓએ આ અકલ્પનીય આયોજનની નોંધ લીધી છે. રવિવાર 31 મેએ નવકાર મહામંત્ર જાપ અનુષ્ઠાનની સફળતાથી અનોખો ઇતિહાસ રચાવા સાથે શાતા પહોંચાડનારાં સ્પંદનો સર્વત્ર પ્રસરશે એવી સૌની અપેક્ષા છે.

નવકાર મહામંત્ર જાપ અનુષ્ઠાનમાં જોડાવા ભાવિકો Navkar Pariwar પેજ સાથે કનેક્ટ થઈ શકે છે. વધુ માહિતી માટે સંપર્ક માટે નવકાર પરિવાર, ધર્મેશ શાહ 9821077766 અને સંજય વિ. શાહ 9821066266 નો સંપર્ક કરી શકો છો.

Disclaimer: This is a company press release. No Motion Today journalist is involved in creation of this content.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker