ઘટતાં કેસ વચ્ચે કોરોનાની સારવારમાં કેન્દ્રની નવી ગાઈડલાઇન્સ કરાઇ જાહેર

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા કોરોનાની સારવાર માટેની ગાઈડલાઇનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ અનુસાર, જે દર્દીઓમાં કોરોનાનાં લક્ષણો દેખાતા નથી અથવા હળવા લક્ષણો જોવા મળે છે, તે લોકોને કોઈપણ પ્રકારની દવાઓ લેવાની જરૂર નથી. તેમ છતાં અન્ય રોગો માટે જે દવાઓ ચાલુ છે તે જ ચાલુ રાખવી જોઈએ. એવા દર્દીઓને ટેલિ-કન્સલ્ટેશન લેવી જરૂરી છે. પૌષ્ટિક આહાર લેવો જોઈએ અને માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ જેવા જરૂરી નિયમોનું પાલન જરૂર કરવું જોઈએ.

ડાયરેક્ટર જનરલ ઓફ હેલ્થ સર્વિસીસ દ્વારા નવી ગાઇડલાઇન હેઠળ એસિંમ્પટોમેટિક દર્દીઓની સારવારમાં ઉપયોગમાં લેવામાં આવતી બધી દવાઓ યાદીમાંથી દૂર કરી દેવામાં આવી છે. તેમાં તાવ અને શરદી અને ઉધરસની દવાઓનો સમાવેશ થાય છે. ગાઈડલાઇન મુજબ, આવા સંક્રમિત લોકોને અન્ય ટેસ્ટ કરવવાની પણ જરૂરીયાત નથી. આ અગાઉ સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી 27 મેના રોજ જાહેર કરવામાં આવેલી સંશોધિત ગાઇડલાઇન્સ મુજબ લક્ષણ વગરના કે હળવા લક્ષણવાળા દર્દીઓની સારવાર દરમિયાન ડૉક્ટરો તરફથી આપવામાં આવતી હાઇડ્રોક્સીક્લોરોક્વીન, આઇવરમેક્ટિન, ડોક્સીસાઇક્લિન, ઝિંક, મલ્ટીવિટામીન અને અન્ય દવાઓને બંધ કરી દેવાઈ છે. હવે તેમને માત્ર તાવ માટે એન્ટીપાઇરેટીક અને શરદીના લક્ષણ માટે એન્ટીટ્યૂસિવ જ અપાશે.

ગાઇડલાઇન્સ અનુસાર, ડૉક્ટરોને દર્દીઓના બિનજરુરી ટેસ્ટ બંધ કરાવવા માટે પણ કહેવામાં આવ્યું છે. તેમાં સીટી સ્કેનનો પણ સમાવેશ થાય છે. કોરોનાથી બચવા માટે લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગ, ફેસ માસ્ક અને હાથ ધોવાની સલાહ પણ અપાઇ છે. તેની સાથે જો કોઈ વ્યક્તિ કોરોના સંક્રમિત હોય તો તેના ફોન પર કન્સલટેશન લેવા અને પૌષ્ટિક આહાર ખાવાની પણ સલાહ અપાઈ છે.

આ સિવાય કોરોના દર્દીઓ અને તેમના પરિવારજનોએ એક-બીજા સાથે ફોન કે વીડિયો કોલના માધ્યમથી સકારાત્મક વાતો કરવી અને એક-બીજા સાથે સતત જોડાયેલા રહેવાની પણ સલાહ આપી છે. તેમાં એવું પણ કહેવાયું છે કે, જે લક્ષણ વગરના દર્દી છે તેમને કોઈ દવા ન આપવી જોઈએ, તેમાં શરત માત્ર એ છે કે તેઓ બીજી કોઈ બીમારીથી પીડિત હોવા જોઈએ નહીં. બીજી તરફ હળવા લક્ષણ ધરાવતા દર્દી છે તેમને જાતે જ શ્વાસ લેવામાં તકલીફ, ઓક્સિજન લેવલ મોનિટર કરવા માટે કહેવામાં આવ્યું છે.

તેમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, કોરોના વાયરસ સંક્રમણના લક્ષણવાળા દર્દી છે, તેમને એન્ટીપાઇરેટિક અને એન્ટીટ્યૂસિવ દવા લેવી અનિવાર્ય છે. ઉધરસ માટે તેમને બૂડસોનાઇડની 800 એમસીજી માત્રા દિવસમાં બે વખત પાંચ દિવસ સુધી ચાલુ રાખવી જોઇએ.

Scroll to Top