બોર્ડર સિક્યોરિટી ફોર્સે ગુરુવારે સવારે ગુજરાતના કચ્છ જિલ્લા નજીક ભારત-પાકિસ્તાન દરિયાઈ સરહદે હરામી નાળા ક્રીક વિસ્તારમાં નવ પાકિસ્તાની માછીમારી બોટને જપ્ત કરી હતી. અધિકારીઓએ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, જપ્તી બાદ, BSFએ એ જાણવા માટે ખાડી ક્ષેત્રમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે કે શું પડોશી દેશની આવી વધુ કોઈ બોટ ભારતીય જળસીમામાં પ્રવેશી છે કે કેમ.
BSFના ગુજરાત ફ્રન્ટિયર ઈન્સ્પેક્ટર જનરલ જી.એસ. મલિકે જણાવ્યું હતું કે, ‘નિયમિત પેટ્રોલિંગ દરમિયાન, BSFના જવાનોએ વિસ્તારનો સંપૂર્ણ નજારો મેળવવા માટે કેમેરાથી સજ્જ UAVs (માનવ રહિત વાહનો અથવા ડ્રોન) આકાશમાં મોકલ્યા હતા. UAV દ્વારા, અમે હરામી નાળા વિસ્તારમાં નવ માછીમારી બોટ જોઈ. બીએસએફની પેટ્રોલિંગ બોટ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પાકિસ્તાની માછીમારોની બોટને જપ્ત કરી લીધી હતી.
અત્યાર સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી
તેમણે કહ્યું કે અત્યાર સુધી કોઈ પાકિસ્તાની માછીમાર પકડાયો નથી કારણ કે આ બોટમાં સવાર લોકો BSFની હાજરીની જાણ થતાં જ પાકિસ્તાન તરફ ભાગી ગયા હોઈ શકે છે.
મલિકે કહ્યું, અમે નવ બોટ જપ્ત કાર્ય પછી ખાડી વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે કારણ કે અમને લાગે છે કે ત્યાં કેટલીક વધુ બોટ હોઈ શકે છે. શક્ય છે કે અમને એવા પાકિસ્તાની માછીમારો મળી શકે જેમણે આપણા પાણીમાં ઘૂસણખોરી કરી હતી.
મલિકે જણાવ્યું હતું કે બોટ મળી આવ્યા થયા બાદ તેઓ ખાડી વિસ્તારમાં સર્ચ ઓપરેશનની વ્યક્તિગત દેખરેખ રાખવા ગાંધીનગરથી કચ્છ પહોંચ્યા છે.
BSF ગુજરાતે કહ્યું કે ભારતીય વાયુસેનાના ત્રણ કમાન્ડો ગ્રૂપને 3 અલગ-અલગ દિશામાંથી એરડ્રોપ કરવામાં આવ્યા છે, જ્યાં પાકિસ્તાનીઓ છુપાયેલા છે, કમાન્ડો ત્યાં પહોંચી ગયા છે. BSFએ કહ્યું કે અત્યંત ગીચ વિસ્તારો, મેન્ગ્રોવ અને ભરતીના પાણી સૈનિકોના કાર્યને પડકારરૂપ બનાવી રહ્યા છે. હાલ ઓપરેશન ચાલુ છે.