ગુજરાતમાં ચૂંટણી લડવા માટે અસુદ્દીન ઓવૈસીની પાર્ટીએ વસાવા બંધુઓ સાથે હાથ મિલાવ્યા છે. આવતા મહિને ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થાય એ પહેલાં ગુજરાતમાં નવી રાજકીય પાર્ટીની એન્ટ્રી થઈ છે. આજે ગુજરાતમાં અસદ્દુદીન ઓવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમ અને છોટુ વસાવાની પાર્ટીનું ગઠબંધન થયું છે અને આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સાથે મળીને લડશે તેવી જાહેરાત છોટુ વસાવાએ કરી છે.
ત્યારે આ વચ્ચે આજે છોટુ વસાવાએ ખાસ વાતચીતમાં જણાવ્યું કે, સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બંને પાર્ટીઓ સાથે મળીને લડીશું. બીટીપી અને એઆઈએમઆઈએમએ ગઠબંધન કર્યું. ભાજપ અને કોંગ્રેસથી દુઃખી લોકો અમારા સાથે જાેડાશે. ભાજપ અને કોંગ્રેસ બંને એકબીજાની બી ટીમ છે. વિધાનસભા અને લોકસભાની ચૂંટણી પણ લડીશું. ભાજપ અને કોંગ્રેસ બંને શાસનમાં નહિ હોય તો પરિવર્તન આવશે, લોકો સુખી થઈ જશે.
કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને અમને કંઈ જ ન મળ્યું. અમારા અધિકાર દેશમાં નથી મળી રહ્યાં. તો બીજી તરફ, બીટીપીના કાર્યકરોએ આજે ઝાડેશ્વર ચોકડી પર એઆઈએમઆઈએમના સાંસદ ઇમ્તિયાઝ ઝલીલ અને પૂર્વ ધારાસભ્ય વારિશ પઠાણનું સ્વાગત કર્યું હતું. કાર્યકરોએ ‘છોટુભાઈ વસાવા અને બીટીએસ જિંદાબાદ’ના નારા લગાવ્યા હતા. જેના બાદ છોટુ વસાવાના નિવાસસ્થાને એઆઈએમઆઈએમના સાંસદ અને છોટુ વસાવાની વચ્ચે મળી હતી.
મોટી સંખ્યામાં બીટીપીના કાર્યકર્તાઓ અહીં હાજર જાેવા મળ્યાં. તો સાંસદ ઈમ્તિયાઝ ઝલીલે મીડિયા સામે કહ્યું કે, ભાજપ અને કોંગ્રેસથી નારાજ વ્યક્તિઓ માટે અમારા દરવાજા ખુલ્લા છે. છોટુ વસાવા અને મહેશ વસાવાને અમે હૈદરાબાદ આવવા નિમંત્રણ આપ્યું છે. ગુજરાતમાંથી ભાજપ અને કોંગ્રેસ બંનેને મુક્ત કરવામાં આવશે. અમારા માટે ગર્વની વાત છે કે, છોટુ વસાવા સાથે અમે ગઠબંધન કર્યું. છોટુ વસાવાએ રાજનીતિ ઓછી કરી, અને સેવા વધુ કરી છે.
આ ગઠબંધનથી લોકોમાં ઉત્સાહ છે. ગુજરાતમાં લોકો અમને વિકલ્પ તરીકે પસંદ કરશે. ગુજરાતમાં અમે અમારા ફાયદા માટે આવ્યા છે. તો સાથે જ છોટુ વસાવાએ મનસુખ વસાવાના રાજીનામા અંગે પણ કહ્યું કે, ઈકો સેન્સેટીવ ઝોન બનાવીને સરકાર અમારી ૧૨૧ ગામોની જમીન લેવા માંગે છે. કોર્પોરેશન અને સ્થાનિક ચૂંટણી અમે એઆઈએમઆઈએમ સાથે મળીને લડીશું. અમને બજેટ નથી મળી રહ્યું, અમને આતંકવાદી કહેવામાં આવે છે.