હિન્દુ ધર્મમાં લગ્ન પછી, પરિણીત સ્ત્રીના જીવનમાં સિંદૂર, બિંદી, મહાવર, મહેંદી જેવી વસ્તુઓ ખૂબ મહત્વ ધરાવે છે. આ બધી વસ્તુઓ પરણેલી સ્ત્રીના સુહાગનું પ્રતીક છે. મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે સોળ શણગાર કરે છે, વ્રત રાખે છે, પરંતુ એક સમુદાય એવો પણ છે જ્યાંની મહિલાઓ પતિ જીવિત હોય તો પણ દર વર્ષે થોડો સમય માટે વિધવાઓની જેમ રહે છે.
આ સમુદાયનું નામ છે ‘ગછવાહા સમુદાય’. આ સમુદાયની મહિલાઓ લાંબા સમયથી આ રિવાજનું પાલન કરી રહી છે. કહેવાય છે કે અહીંની મહિલાઓ દર વર્ષે વિધવાઓની જેમ રહે છે, તેમના પતિના લાંબા આયુષ્યની કામના કરે છે. જાણો, આ રિવાજ પાછળની માન્યતા.
તાડી ઉતારવાનું કામ કરે છે પતિ: ગછવાહા સમુદાયના લોકો મુખ્યત્વે પૂર્વ ઉત્તર પ્રદેશમાં રહે છે. અહીંના પુરુષો લગભગ પાંચ મહિના સુધી ઝાડમાંથી તાડી (એક પ્રકારનું પીણું) કાઢવાનું કામ કરે છે. આ દરમિયાન જે મહિલાઓના પતિ ઝાડ પરથી તાડી કાઢવા જાય છે, તેઓ વિધવાઓની જેમ રહે છે. તેઓ ન તો સિંદૂર લગાવે છે કે ન તો બિંદી, મહિલાઓ કોઈ પણ પ્રકારનો શણગાર કરતી નથી. તેઓ દુ:ખી-ઉદાસ પણ રહે છે.
કુલદેવીને અર્પણ કરે છે શણગારનો સામાન: ગછવાહા સમુદાયમાં તરકુલહા દેવીને કુળદેવી તરીકે પૂજવામાં આવે છે. તે સમય દરમિયાન જ્યારે પુરુષો તાડી ઉતારવાનું કામ કરે છે, ત્યારે તેમની પત્નીઓ તેમના તમામ શણગાર દેવીના મંદિરમાં રાખે છે.
ખરેખર, જે વૃક્ષો (તાડના વૃક્ષો) માંથી તાડી ઉતારવામાં આવે છે તે ખૂબ ઉંચા હોય છે અને સહેજ ભૂલ પણ વ્યક્તિના મૃત્યુનું કારણ બની શકે છે, તેથી અહીંની મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે કુળદેવીની પ્રાર્થના કરે છે અને શણગારને તેમના મંદિરમાં રાખી દે છે.