વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સૌરાષ્ટ્રમાં એક જ દિવસમાં ચાર ચૂંટણી સભાઓને સંબોધશે. તેઓ રવિવારે સવારે 10 વાગ્યે સોમનાથ મંદિર પહોંચ્યા હતા. ત્યાં મહાદેવના દર્શન કરીને પૂજા-અર્ચના કરી હતી ત્યાર બાદ તેઓએ વેરાવળના સદભાવના ગ્રાઉન્ડમાં જનસભાને સંબોધી હતી. ત્યારબાદ તેઓ બપોરે 1.45 કલાકે રાજકોટ જિલ્લાના ધોરાજી અને બપોરે 2.30 કલાકે અમરેલી ખાતે ચૂંટણી સભા કરશે. મોદીની છેલ્લી સભા બોટાદ ખાતે સાંજે 4.15 કલાકે યોજાશે. વડાપ્રધાનની સભા અને મુલાકાતને લઈને ગીર સોમનાથ, બોટાદ, રાજકોટ, અમરેલી જિલ્લામાં સુરક્ષા એજન્સીઓ દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
મોદીના સૌરાષ્ટ્ર પ્રવાસને લઈને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા
અમદાવાદ/પ્રભાસપાટણ/રાજકોટ. વડાપ્રધાનની સભા અને મુલાકાતને લઈને ગીર સોમનાથ, બોટાદ, રાજકોટ, અમરેલી જિલ્લામાં સુરક્ષા એજન્સીઓ દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ભાજપના નેતાઓ પણ સભાની તૈયારીઓમાં વ્યસ્ત છે. PM મોદી રવિવારે સવારે સોમનાથના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરની મુલાકાત લેશે અને પૂજા અર્ચના કરશે.
મોદીની મુલાકાતને લઈને જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક મયંકસિંહ ચાવડાએ ખુદ પીએમ મોદીના પ્રવાસના રૂટ, હેલીપેડ અને સભા સ્થળ પર રિહર્સલ અને સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાના નેતૃત્વમાં 7 એસપી, 14 નાયબ અધિક્ષક, 30 ઈન્સ્પેક્ટર, 80 સબ ઈન્સ્પેક્ટર, 1400 પોલીસકર્મીઓ, એસઆરપીએફની 2 કંપની સુરક્ષા વ્યવસ્થામાં લાગેલી છે.
વડાપ્રધાન રવિવારે રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે જાહેર સભાને પણ સંબોધશે. તેઓ વેરાવળથી રવિવારે બપોરે ધોરાજી પહોંચશે. જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુના જણાવ્યા અનુસાર પીએમ મોદીની મુલાકાત અને સભાને લઈને પોલીસ વિભાગ દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.
પીએમ મોદી રવિવારે બોટાદમાં ત્રિકોણીય ખોડિયાર વિસ્તારમાં ચૂંટણી પ્રચારના ભાગરૂપે જાહેરસભાને સંબોધશે. બોટાદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ મુકેશ પરમારે રવિવાર સુધી સભા સ્થળના 1 ચોરસ કિલોમીટર વિસ્તારમાં જમીનથી આકાશમાં તુક્કલ, પતંગ, ફુગ્ગા, ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ ફરમાવતો જાહેરનામું બહાર પાડ્યું છે.
રાહુલ ગાંધી આવતીકાલે રાજકોટમાં ચૂંટણી સભા કરશે, પ્રચારનો પ્રારંભ કરશે, 22મીએ અમરેલીમાં જાહેરસભા કરશે
રાજકોટ. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સોમવારે રાજકોટથી ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રચારની શરૂઆત કરશે. તેઓ બપોરે 3.30 કલાકે શહેરના શાસ્ત્રી મેદાનમાં જનસભાને સંબોધશે.
શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા જાહેરસભાની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા સહિતના નેતાઓ રાજકોટમાં છે. રાજકોટ બાદ મંગળવારે અમરેલીમાં પણ રાહુલ ગાંધીની જાહેરસભા યોજાશે.