GujaratNewsPoliticsSaurasthra - Kutch

પોરબંદર: પાક નિષ્ફળ જતા વધુ એક ખેડૂતે કર્યો આપઘાત

પાક નિષ્ફળ જવાથી ખેડૂતોનો આત્મહત્યાનો દોર ચાલુ છે. આજે વધુ એક ખેડૂતે પાક નિષ્ફળ જતા પોતાનું જીવન ટુંકાવ્યું હોવાની ઘટના સામે આવી છે. પોરબંદરના કુતિયાણાના માંડવા ગામના એક ખેડૂતે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, પોરબંદરના કુતિયાણાના માંડવા ગામે પાક નિષ્ફળ જવાના કારણે લખમણભાઈ આહિર નામના ખેડૂતે વાડીએ જ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધુ છે.

પરિવારનો આક્ષેપ છે કે, 20 વિઘા જમીનમાં વ્યાજે રૂપિયા લઈ મગફળીનું વાવેતર કર્યું હતું, પરંતુ કોઈ કારણોસર પાક નિષ્ફળ જતા દેવામાં ડુબી જવાના આઘાતથી આપઘાત કરી લીધો છે.

આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે સ્થાનિકોની મદદથી ખેડૂતના મૃતદેહને નીચે ઉતારી તેને નજીકની સરકારી હોસ્પિટલમાં પીએમ માટે ખસેડ્યો છે. પોલીસે હાલમાં આપઘાતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં બે દિવસમાં ખેડૂત દ્વારા આપઘાતની ત્રણ ઘટના સામે આવી છે. આજે જામનગરમાં પણ એક ખેડૂતે પાક નિષ્ફળ જવાના કારણે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જામનગરના વાગડિયા ગામના ૪૨ વર્ષના યુવાન ખેડૂતે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ યુવાન ના પરિવારજને એવો આક્ષેપ કર્યો હતો કે, તેમનો કપાસનો પાક નિષ્ફળ જવાથી ઝેરી દવા ગટગટાવી જીવન ટુંકાવવાનો પ્રયાસ કર્યો, જોકે તેની જાણ પરિવારને થતા તુરંત હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, અને જીવ બચાવી લેવામાં આવ્યો હતો.

આજ રીતે બુધવારે પણ સુરેન્દ્રનગરના એક ખેડૂત દ્વારા આપઘાત કરી જીવન ટુંકાવી લેવાની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં મૂળી ગામમાં રહેતા અને ખેતીકામ કરતા ખેડૂતે ખેતરમાં જ ઝેરી દવા ગટગટાવી હતી. આ બનાવ અંગે પોલીસને જાણ થતાં પોલીસનો સ્ટાફ તુરંત જ મૂળી ગામે પહોંચી ગયો હતો અને ખેડૂતને હોસ્પિટલ ખસેડાયો હતો. જો કે સારવાર દરમિયાન ડોકટરે ખેડૂતનો મૃત જાહેર કર્યા હતા.

ખેડૂત આપઘાતમાં ગુજરાત ચોથા ક્રમે

તાજેતરમાં સંસદના ચોમાસું સત્રમાં રજૂ કરવામાં આવેલા રિપોર્ટ પ્રમાણે દુષ્કાળ, પાક નિષ્ફળ જવાથી કે દેવામાં ડૂબી જવા સહિતના કારણોને લીધે ખેડૂતોનાં મોત અંગે ચોંકાવનારા ખુલાસા થયા છે. રિપોર્ટ પ્રમાણે છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતમાં 1,309 ખેડૂતો અથવા ખેતમજૂરોએ આપઘાત કર્યો છે. ખેડૂતોના આપઘાતના કેસમાં ગુજરાત દેશમાં ચોથા ક્રમે રહ્યું છે. છેલ્લા ત્રણ વર્ષના ખેતમજૂરોના આપઘાતના આંકડાઓ તપાસ કરવામાં આવે તો 2014થી 2017 દરમિયાન 132 ખેડૂતોએ આપઘાત કર્યો હતો. 2014થી 2016 દરમિયાન 1177 ખેતમજૂરોએ આત્મહત્યા કરી હતી, જ્યારે 2015ના વર્ષ કરતા વર્ષ 2016માં 35.5 ટકાનો વધારો થયો હતો. આ આંકડા એનસીઆરબી (નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો) દ્વારા જાહેર કરવામાં આવ્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker