ગુજરાતમાં આગામી મહિને યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રચારના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં શનિવારથી રેલીઓને સંબોધિત કરશે. પાર્ટીના સૂત્રોએ જણાવ્યું હતું કે તેઓ શનિવારે ગુજરાત પહોંચશે અને સાંજે વલસાડ જિલ્લામાં એક રેલીને સંબોધિત કરશે. તેમણે જણાવ્યું કે આ રેલી વલસાડના જુજવા ગામે સાંજે લગભગ 6.30 કલાકે યોજાશે.
પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે વડાપ્રધાન રવિવારે ભાવનગર, અમરેલી અને જૂનાગઢ જિલ્લામાં ચાર રેલીઓને સંબોધશે.
વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત બાદ પીએમ મોદીની તેમના ગૃહ રાજ્યની આ બીજી મુલાકાત છે. અગાઉ તેઓ 6 નવેમ્બરે ગુજરાત પહોંચ્યા હતા. ત્યારે તેમણે વલસાડ જિલ્લાના કપરાડા ખાતે રેલીને સંબોધી હતી અને ભાવનગરમાં સમૂહ લગ્નોત્સવમાં ભાગ લીધો હતો.
182 સભ્યોની ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે યોજાશે અને મત ગણતરી 8 ડિસેમ્બરે થશે.
વડાપ્રધાનની સુરક્ષામાં 9 એસ.પી., 17 ડીવાયએસપી, 40 પીઆઈ, 90 પીએસઆઈ અને 1500 પોલીસકર્મીઓ જોડાશે. પીએમ ફરી વલસાડના પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે વલસાડના કાર્યકર્તાઓ અને નાગરિકો PMને આવકારવા થનગની રહ્યા છે. લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.