બિહારમાં સૈન્ય ભરતીની નવી યોજના અગ્નિપથને લઈને ગલીઓમાં સંઘર્ષ ચાલી રહ્યો છે. અગ્નિપથને લઈને બિહારમાં યુવાનોનો ગુસ્સો અટકતો જણાતો નથી. બિહારમાં સતત ત્રીજા દિવસે પણ પ્રદર્શન ચાલુ છે. યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા છે. શનિવારે સવારે જહાનાબાદમાં યુવકો રસ્તા પર ઉતરી આવ્યા અને આગચંપી શરૂ કરી દીધી.
જહાનાબાદ જિલ્લાના તેહતામાં પ્રદર્શનકારીઓએ એક ટ્રક અને બસને આગ ચાંપી દીધી હતી. આ મામલો તેહતા આઉટ પોસ્ટ પાસેનો છે. દેખાવકારોએ પથ્થરમારો પણ કર્યો હતો. રસ્તા પર પથ્થરો વિખરાયેલા છે. આ મામલાની જાણ થતાં ભારે પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. પ્રદર્શનકારીઓ દ્વારા આગચંપી અને પથ્થરમારાના સમાચાર મળતા જહાનાબાદના કલેક્ટર અને પોલીસ અધિક્ષક પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસ દળ દ્વારા દેખાવકારોને સમજાવીને પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
બિહારના અનેક જિલ્લાઓ અગ્નિપથની આગમાં સળગી રહ્યા છે. દેખાવકારોએ 3 દિવસમાં અનેક વાહનોને આગ ચાંપી દીધી અને ઘણી ટ્રેનોમાં પણ આગ લગાવી દીધી. બગડતી પરિસ્થિતિને જોતા બિહાર સરકારે રાજ્યના 15 જિલ્લાઓમાં ઈન્ટરનેટ સેવા સ્થગિત કરી દીધી છે. ઇન્ટરનેટ સેવા સ્થગિત કરવાનો આ આદેશ આવતીકાલ સુધી એટલે કે 19 જૂન સુધી લાગુ રહેશે. સેનાની ભરતી માટે અગ્નિપથ યોજનાના હિંસક વિરોધ વચ્ચે કેટલાંક વિદ્યાર્થી સંગઠનોએ આજે બિહાર બંધનું આહ્વાન કર્યું છે. RJD, હિન્દુસ્તાન અવમ મોરચા અને વિકાસશીલ ઇન્સાન પાર્ટીએ પણ વિદ્યાર્થી સંગઠનોના બિહાર બંધને સમર્થન આપ્યું છે.