Qatar : રાજકુમારની ત્રીજી પત્ની તેના ઘરે મૃત હાલતમાં મળી, પ્રિન્સ પર લગાવ્યો હતો આરોપ

Kasia Gallanio

કતારના રાજકુમાર અબ્દુલ અઝીઝ બિન ખલીફા અલ-થાનીની ત્રીજી પત્ની કાસિયા ગેલાનિયો સ્પેનમાં તેના ઘરે મૃત હાલતમાં મળી આવી હતી. હાઈપ્રોફાઈલ કેસ હોવાના કારણે પોલીસ હવે આ મામલાની અનેક એંગલથી તપાસ કરી રહી છે.

રાજકુમારીના મૃત્યુનું કારણ
ફ્રાન્સના અખબાર લે પેરિસિયનમાં છપાયેલા અહેવાલ મુજબ, ગલાનિયોનું મોત ડ્રગ્સના ઓવરડોઝને કારણે થયું હતું. સાથે જ કાસિયાના શંકાસ્પદ મોતના સમય અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. કાસિયા 45 વર્ષની હતી, જે તેના પૂર્વ પતિ પાસેથી બાળકોની કસ્ટડીના કેસનો સામનો કરી રહી હતી. તમને જણાવી દઈએ કે અબ્દુલ અઝીઝ બિન ખલીફા અલ થાની કતારના વર્તમાન અમીરના કાકા છે.

પારિવારિક સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યારે તેણે લાંબા સમય સુધી ફોન ઉપાડ્યો ન હતો, ત્યારે પોલીસને જાણ કરવામાં આવી હતી. આ પછી, જ્યારે પોલીસની ટીમ મારબેલાના એપાર્ટમેન્ટમાં પહોંચી તો કાસિયાનો મૃતદેહ બેડ પર પડેલો જોવા મળ્યો. પોલીસે કહ્યું, ‘પ્રાથમિક તપાસમાં મોતનું કારણ ડ્રગનો ઓવરડોઝ હોવાનું જણાય છે. પોસ્ટમોર્ટમ બાદ જ કંઈક સ્પષ્ટ થશે.

પૂર્વ પતિ પર આક્ષેપો કરવામાં આવ્યા હતા
કાસિયાનું મૃત્યુ એવા સમયે થયું છે જ્યારે તેણે તાજેતરમાં તેના ભૂતપૂર્વ પતિ પર નાબાલિગને અયોગ્ય રીતે સ્પર્શ કરવાનો આરોપ મૂક્યો હતો. જોકે, પ્રિન્સ અબ્દુલ અઝીઝ બિન ખલીફાએ આ આરોપને પાયાવિહોણા અને ખોટા ગણાવ્યા હતા. કાસિયાને 17 વર્ષની બે જોડિયા દીકરીઓ છે. પહેલા તેમની દીકરીઓ તેમના પિતાના ઘરે રહેતી હતી પરંતુ બાદમાં તેઓ તેમની માતા પાસે આવી હતી.

Scroll to Top