વડોદરાના પરિવાર માટે ગઈ કાલના એક દુઃખદ સમાચાર સામે આવ્યા હતા. કેનેડા ભણવા ગયેલા દીકરાના મૃત્યુ બાદ તેમના પરિવાર આભ ફાટ્યું છે. જ્યારે આવા સમયમાં રાહુલના મિત્રો તેના પરિવારના પડખે આવીને ઉભા રહી ગયા છે અને મૃતક રાહુલના મિત્રો લાગણીભરી પોસ્ટ શેર કરી રહ્યા છે.
નોંધનીય છે કે, વડોદરા કેનેડામાં ડૂબી જવાથી મોતને ભેટનાર રાહુલ મખીજાનો મૃતદેહ અમદાવાદ એરપોર્ટ પર આવ્યો છે અને અમદાવાદ એરપોર્ટથી એમ્બ્યુલન્સ દ્વારા મોડી રાત્રીના વડોદરા લાવવામાં આવ્યો છે. આજે એટલે 30 ઓક્ટોબરના રોજ સવારના અંતિમયાત્રા નીકળશે. પરિવારજનો રાહુલના મૃતદેહને લેવા માટે અમદાવાદ પહોંચ્યા હતા. રાહુલના અણધાર્યા મોતના લીધે વારસીયા વિસ્તારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે.
જ્યારે મૃતક રાહુલના મિત્રો આયુષ ઉધવાણી, ભાવેશ વર્મા, રીષી અમીન અને યશ મુલવાણીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી છે કે, અમે ભારે હૃદય અને દુ:ખ સાથે આ સમાચાર શેર કરવા ઈચ્છીએ છીએ, જેણે અમને બધાને અલગ કરી દીધા છે અને અમારા જીવનને હંમેશ માટે બદલી દીધું છે, અમારા પ્રિય મિત્ર, રાહુલ માખીજા અમારી દુનિયા છોડીને ચાલ્યા ગયા છે. જીવન પ્રત્યેની અસાધારણ ભાવના અને દરેક માટે તેમના બિનશરતી મદદરૂપ થવાનો તેમનો સ્વભાવ હતો, અમને ખાતરી છે કે, તેમણે કોઈના કોઈ રીતે અમારા જીવનમાં અલગ જગ્યા બનાવી છે. રાહુલના માતા-પિતા આ સમયે ભાંગી પડ્યા છે અને અમે અમારા હૃદયમાં એક મહાન શૂન્યતા અનુભવ કરી રહ્યા છીએ.
ઉલ્લેખનીય છે કે, કેનેડાના ટોબરમોરી ખાતે ક્લિફ જમ્પિંગ કરતી વખતે પાણીમાં ડૂબી જતા વડોદરાના 23 વર્ષના રાહુલ નામના વિદ્યાર્થીનું કરુણ મોત થયું હતું. વડોદરાના વારસિયા વિસ્તારનો આ યુવક પોસ્ટ ગ્રેજ્યુએશનના અભ્યાસ માટે કેનેડા ગયેલો હતો. તેનો અભ્યાસ પૂર્ણ થતા જ તે મિત્રો સાથે ફરવા માટે ગયો હતો. આ દરમિયાન આ કરુણ ઘટના બની હતી. જેના કારણે પરિવારમાં શોકની લહેર છવાઈ ગઈ હતી.
જ્યારે તેના પિતા સુનિલભાઈ માખીજા ઘડિયાળી પોળમાં કપડાની દુકાન ચલાવે છે. ત્યાર બાદ સાંસદ રંજનબેન ભટ્ટ પરિવારને સાંત્વના આપવા માટે પહોંચ્યા હતા. સાંસદના પ્રયાસોથી આજે મૃતદેહ વડોદરા લાવવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર, રાહુલ મખીજાએ અભ્યાસ પૂર્ણ કરીને નોકરી માટે અરજી પણ કરી હતી. અભ્યાસ પૂર્ણ થવાની ખુશીમાં મિત્રો સાથે ટોરેન્ટોથી 300 કિલોમીટર દૂર ટોબરમોરી ખાતે ફરવા માટે ગયો હતો. જેમાં તા. 20 ઓકટોબરના મિત્રો સાથે પર્વત પરથી ઠંડા પાણીના તળાવમાં કૂદકા મારવાની રમત રમી રહ્યો હતો. આ દરમિયાન એક મિત્ર યસ કોટડીયા પાણીમાં ઠંડા પાણીમાં ડૂબી ગયો હતો પરંતુ તેના હાથમાં પથ્થર આવી જતા તેનો જીવ બચી ગયો હતો. ત્યારબાદ પાણીમાં કુદકો લગાવનાર રાહુલ તળાવના ઠંડા અને ઊંડા પાણીમાં ગરક થઈ ગયો તેના કારણે ઘટના સ્થળે જ તેનું મોત થઈ ગયું હતું.
જ્યારે આ સમાચાર સાંભળીને પરિવારમાં શોકની લહેર છવાઈ ગઈ હતી. પુત્રના મોતનો આઘાત લાગતા માતા પૂજાબેન અને પિતા સુનિલભાઈએ તો જમવાનું પણ છોડી દીધુ હતું. જ્યારે પરિવારના સમજાવતા આવતા તેમણે બે દિવસ બાદ જમવાનું મોંમાં મૂક્યુ હતું.