યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું- ‘દુનિયાને રશિયાના ભવિષ્ય પર ભરોસો નથી’

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીનું કહેવું છે કે દુનિયાને રશિયા પર ભરોસો નથી, જ્યારે દરેક તેની (યુક્રેન) મદદ માટે આગળ આવી રહયા છે. અહેવાલ અનુસાર, ઝેલેન્સકીએ કહ્યું, ‘દુનિયાને રશિયાના ભવિષ્યમાં વિશ્વાસ નથી, તેના વિશે વાત કરતા નથી. તેઓ અમારા વિશે વાત કરે છે, તેઓ અમને મદદ કરી રહ્યાં છે, તેઓ યુદ્ધ પછી અમારી રિકવરીને સપોર્ટ કરવા તૈયાર છે.’

યુક્રેન હાર નહીં માને: ઝેલેન્સકી

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ બ્રિટનની સંસદને સંબોધનમાં કહ્યું કે તેમનો દેશ રશિયાના આક્રમણ સામે છેલ્લા શ્વાસ સુધી લડશે. ઝેલેન્સકીએ બ્રિટિશ સાંસદોને કહ્યું કે ‘અમે હાર માનીશું નહીં અને હરીશું નહીં.’ યુક્રેનથી વીડિયો દ્વારા હાઉસ ઓફ કોમન્સને સંબોધતા, ઝેલેન્સકીએ બ્રિટનને રશિયા પર પ્રતિબંધો વધારવા અને તેને “આતંકવાદી દેશ” માનવા વિનંતી કરી.

યુએસ પ્રમુખ જો બિડેને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સ્કી સાથે જમીન પરની પરિસ્થિતિ અંગે ચર્ચા કરવા અને યુક્રેન અને યુક્રેનિયન લોકો માટે યુએસ સમર્થન ચાલુ રાખવા પર સલાહ લેવા માટે વાત કરી. તેમણે ટ્વિટ કર્યું, “અમે યુક્રેનને 1 બિલિયન ડોલરથી વધુની સુરક્ષા સહાય આપી છે.”

ઝેલેન્સકીએ વધુ માનવતાવાદી કોરિડોર માટે અપીલ કરી

વોલોડીમિર ઝેલેન્સકીએ યુદ્ધ દરમિયાન સલામત સ્થળાંતર કરવાનો પ્રયાસ કરી રહેલા યુક્રેનિયન નાગરિકો માટે માનવતાવાદી કોરિડોરના વિસ્તરણ અને રેડ ક્રોસ તરફથી વધુ સહકારની પણ હાકલ કરી છે. મંગળવારે એક અજ્ઞાત સ્થળેથી એક વીડિયો સંદેશમાં, તેમણે કહ્યું કે દક્ષિણના દરિયાઈ બંદર શહેર મારિયુપોલમાં નાકાબંધી વચ્ચે શરીરમાં પાણીના અભાવે એક બાળકનું મૃત્યુ થયું, એ શહેરના લોકો કેટલા હતાશ થઈ ગયા છે, તેના સંકેત છે.

તેમણે ફરી એકવાર પશ્ચિમી દેશો પાસેથી હવાઈ મદદ માંગી છે. તેમણે કહ્યું કે ખાલી કરાવવા માટેની બસો મારિયુપોલ મોકલવામાં આવી હતી પરંતુ રૂટને લઈને કોઈ મક્કમ સર્વસંમતિ નથી થઈ, તેથી રસ્તામાં રશિયન દળો આને સરળતાથી નિશાન બનાવી શકે છે.

Scroll to Top