શ્રીલંકામાં સ્થિતિ બેકાબૂ, PM વિક્રમસિંઘેના રાજીનામા બાદ તેમના ઘરને આગ લગાવી

શ્રીલંકાના પીએમ રાનિલ વિક્રમસિંઘેના રાજીનામા બાદ પણ દેશમાં સ્થિતિ બેકાબૂ બની ગઈ છે. વિરોધીઓએ રાનિલ વિક્રમસિંઘેના ખાનગી નિવાસસ્થાને આગ લગાવી દીધી હતી. તે જ સમયે વિરોધીઓ કોલંબોમાં રાષ્ટ્રપતિ ભવન સંકુલમાં પ્રવેશ્યા હતા. PM કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “વિરોધીઓએ વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેના ખાનગી નિવાસસ્થાનમાં ઘૂસીને તેને આગ લગાવી દીધી હતી.”

ઘટનાના કલાકો પહેલા વિરોધીઓએ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના રાજીનામાની માંગ સાથે કેમ્પસમાં ધુસી ગયા હતા. સુરક્ષા કોર્ડન તોડી નાખવામાં આવ્યું હતું. સ્વિમિંગ પૂલમાં ડૂબકી લગાવી અને તેમના રસોડામાં અને ઘરની આસપાસ ચાલતા પ્રદર્શનકારીઓ જાવા મળ્યા હતા. ડેઈલી મિરરના અહેવાલ મુજબ સુરક્ષા દળોએ અનેક પત્રકારો પર પણ હુમલો કર્યો હતો. જે બાદ વિસ્તારમાં વધુ પ્રદર્શનકારીઓ એકઠા થયા હતા. આ પહેલા પોલીસે પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસના શેલ છોડ્યા હતા, પરંતુ તેમ છતાં તેઓ પીએમના ઘરમાં ઘૂસી ગયા હતા અને ઘરને આગ ચાંપી દીધી હતી.

આ દરમિયાન કોલંબો મ્યુનિસિપલ કાઉન્સિલ (સીએમસી) ફાયર બ્રિગેડે જણાવ્યું હતું કે તેમને જાણ કરવામાં આવી હતી કે કોલંબોમાં વડા પ્રધાનના ખાનગી નિવાસસ્થાનમાં આગ લાગી હતી, પરંતુ તેમની ટીમ વિરોધીઓના કારણે સ્થળ પર પહોંચી શકી ન હતી.

શ્રીલંકાના પીએમ રાનિલ વિક્રમસિંઘેએ શનિવારે ઇમરજન્સી બેઠક બાદ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. વિક્રમસિંઘેએ ટ્વીટ કર્યું, “તમામ નાગરિકોની સુરક્ષા સહિત સરકારની સાતત્યતા સુનિશ્ચિત કરવા માટે, હું આજે સર્વપક્ષીય સરકાર બનાવવા માટે પક્ષના નેતાઓની શ્રેષ્ઠ ભલામણને સ્વીકારું છું.” આની સુવિધા માટે હું વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપીશ.

આ પહેલા વિરોધીઓએ SJB સાંસદ રાજિતા સેનારત્નેને માર માર્યો હતો. પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા હતા.

60 લાખની વસ્તીવાળા દેશમાં ખોરાકની સમસ્યા-

આર્થિક મોરચે સમસ્યાનો સામનો કરી રહેલા શ્રીલંકાની સામે ખાદ્ય સંકટ પણ વધી ગયું છે. 60 લાખથી વધુ વસ્તી ધરાવતા દેશમાં ખોરાકની ગંભીર સમસ્યા ઊભી થઈ છે. એપ્રિલ 2021માં પ્રથમ વખત શ્રીલંકાએ આઝાદી પછીનો સૌથી મોટો આર્થિક ઘટાડો નોંધ્યો હતો. ત્યારબાદ અહીંની અર્થવ્યવસ્થા 3.6 ટકા ઘટી ગઈ.

ઓગસ્ટ 2021માં રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ ફૂડ ઈમરજન્સી જાહેર કરી હતી. જે બાદ સ્થિતિ દિવસેને દિવસે બગડતી ગઈ. માર્ચ 2022 માં, સરકાર વિરુદ્ધ ભારે વિરોધ ફાટી નીકળ્યો. 1 એપ્રિલ 2022 ના રોજ, રાષ્ટ્રપતિએ કટોકટી લાદી, કારણ કે સરકાર વિરુદ્ધ પ્રદર્શનો વધવા લાગ્યા. એપ્રિલમાં જ શ્રીલંકાની સેન્ટ્રલ બેંકના ગવર્નરે રાજીનામું આપી દીધું હતું. શ્રીલંકામાં ક્રિટિકલ ચીજવસ્તુઓની આયાત માટેનું વિદેશી હૂંડિયામણ સમાપ્ત થઈ જતાં મહિનાઓ સુધી ખોરાક અને ઈંધણની અછત, લાંબા સમય સુધી બ્લેકઆઉટ અને ફુગાવાનો સામનો કરવો પડી રહ્યો છે.

Scroll to Top