ભારતીય મસાલાઓ ફક્ત શાકભાજીનો સ્વાદ વધારવા માટે જ નહીં પરંતુ ઔષધીય ગુણોથી ભરપૂર હોવાને કારણે આયુર્વેદમાં પણ તેનો ઉપયોગ બહોળા પ્રમાણ માં કરવામાં આવે છે. લગભગ દરેક રસોડા માં તમાલપત્રનો મસાલા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તમાલપત્ર નું સૌથી વધુ ઉત્પાદન દક્ષિણ ભારત માં થાય છે. વાનસ્પતિક નામ સિનામોમમસ તમાલા છે. તમાલપત્રના પાન સિવાય છોડના અન્ય ભાગ પણ ઔષધીય ગુણોની ખાણ છે.
તમાલપત્ર આયુર્વેદ ની દ્રષ્ટિ એ મધુર, ગરમ, તીક્ષ્ણ, ઉત્તેજક વાતહર અને પચવામાં હલકી હોય છે. એ કફ, વાયુ, હરસ, ઉલટી-ઉબકા, અરુચિ અને સળેખમ મટાડે છે. આ ઔષધ સર્વ પ્રકારના કફરોગો, અજીર્ણ, અપચો, પેટનો દુઃખાવો, અવાર-નવાર થતા ઝાડા વગેરે પાચનતંત્રના રોગો દૂર કરે છે.
તમાલપત્રના છોડની છાલનું ચૂર્ણ ૨ ગ્રામલઈ ને તેને અડધા કલાક માટે પાણીમાં પલાળી દેવું અને પછી તેનું સેવન કરવામાં આવે તો તે ડાયાબિટીસના રોગીઓ માટે ફાયદાકારક સાબિત થાય છે. આદિવાસીઓનું માનવું છે કે સતત દિવસમાં બે વાર આ નુસખો અજમાવવા થી શરીરમાં શુગરની માત્રા નિયંત્રણમાં રહે છે અને આધુનિક સંશોધનમાં પણ આ વાત સાબિત થઈ છે.
તમાલપત્રમાં કૃમિનાશક તરીકે નો અદભૂત ગુણ સમાયેલો છે. તમાલપત્રના સુકા પાનનું ચૂર્ણ બનાવી રોજ રાતે સૂતા પહેલાં ૨ ગ્રામ નવશેકા પાણીની સાથે પીવાથી પેટમાં રહેલાં કૃમિઓ મરી જાય છે અથવા તો ઝાડા વાટે બહાર નિકળી જાય છે. કિડનીની સમસ્યા હોય ત્યારે તમાલપત્ર ખૂબ ઉપયોગી છે. તમાલપત્રને પાણીમાં નાખી ઉકાળી લો ત્યારબાદ ઉકાળેલા પાણી ને ઠંડુ કરીને તે પાણી પીવાથી કિડનીને લગતી સમસ્યામાં રાહત મળી શકે છે.
પેશાબ સંબંધી સમસ્યાઓમાં તમાલપત્રના પાનનું ચૂર્ણ ફાયદાકારક અસર કરે છે. દિવસમાં બે વાર ૨-૨ ગ્રામ ચૂર્ણનું સેવન કરવાથી પેશાબ સંબંધી વિકારો દૂર થઈ જાય છે. પ્રસુતિ પછી ગર્ભાશયમાં કોઈ દોષ રહી ગયો હોય તો તમાલપત્ર અને એલચી દાણાનું સમભાગે બનાવેલ ચૂર્ણ અડધી અડધી નાની ચમચી સવાર-સાંજ લેવાથી તે રોગ માંથી મુક્તિ મળે છે.
માથાનો દુઃખાવો, લકવો અને માસપેશીઓમાં દુ:ખાવા જેવા રોગો માં તમાલપત્રના તેલથી માલિશ કરવાથી રાહત મળે છે. રાતે સૂતા પહેલાં આ તેલથી માલિશ કરવામાં આવે તો બહુ જ ઉંધ આવે છે અને લોહીનું પરિભ્રમણ પણ યોગ્ય રીતે થાય છે.
તમાલપત્રના છોડની છાલ અને પાનનું ચૂર્ણ ૧-૧ ગ્રામની માત્રામાં બનાવી ૧૫ દિવસ સુધી સતત લેવાથી લીવર સંબંધી સમસ્યાઓમાં આરામ મળે છે. ગેસની સમસ્યામાં કે પેટના દુ:ખાવામાં ચપટી તમાલપત્રનું ચૂર્ણ કાચા જીરા સાથે ચાવીને ખાઈ જવાથી ઝડપથી રાહત મળે છે. ડાંગના આદિવાસીઓ પેટ સંબંધી સમસ્યામાં આ જ નુસખાનો ઉપયોગ કરે છે.
મધની સાથે તમાલપત્રનું ચૂર્ણ નું સેવન કરવાથી શરદી અને ઉધરસમાં ઝડપથી રાહત મળે છે. મોઢામાં ચાંદા પડ્યા હોય તે પણ આ નુસખાનો ઉપયોગ કરે તો તરત આરામ મળે છે. તમાલપત્ર સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયી છે. તમાલપત્રનું સેવન કરવાથી કેન્સર સહિત હૃદય સંબંધિત બીમારીઓથી બચી શકાય છે.
મોઢું, નાક, મળ કે પેશાબ વાટે લોહી નિકળતું હોય તો એક ગ્લાસ ઠંડા પાણીની સાથે એક ચમચી તમાલપત્રનું ચૂર્ણ મિક્ષ કરીને દર ત્રણ કલાકે પીવાથી લોહી પડતું બંધ થય જશે. જો દાંત પીળા થઇ ગયા હોય તો તમાલપત્રને પીસીને તેના પાઉડરમાં સંતરાની છાલનો પાવડર ભેળવી દો, હવે આ મિશ્રણથી અઠવાડિયામાં ત્રણ વખત પોતાના દાંત ઘસો આનાથી દાંત ની પીળાશ ઓછી થાય છે.
તમાલપત્રને સળગાવતા જ રૂમ ફ્રેશનરથી પણ વધારે સારી જે સુગંધ આવે છે. પ્રાચીન સમયથી જ તમાલપત્રનો ઉપયોગ આ કામ માટે કરવામાં આવી રહ્યો છે. તમને આ વાત જાણીને હેરાની થશે કે તમાલપત્ર માત્ર ઘરમાં સુગંધી માટે જ નહીં પરંતુ તેને સળગાવવાથી તેમાથી આવતી સુગંધથી મન પણ શાંત રહે છે.