ગણેશ હિંદુઓના આદિદેવ છે. કોઈપણ કાર્ય પહેલા કે પૂજનમાં સૌથી પહેલા તેમને પૂજવામાં આવે છે. ગણેશ એકમાત્ર એવા દેવતા છે.
જેમના ચિત્ર સૌથી વધુ અલગઅલગ આકૃતિઓમાં જોવા મળે છે. ત્યારે આજે જાણીએ કે દેવોમાં દેવ આદિદેવ ભગવાન ગણેશના ભારતમાં સૌથી પ્રાચીન, સૌથી ચમત્કારિક અને સૌથી પ્રસિદ્ધ ગણેશ મંદિરો ક્યાં છે.કનિપક્કમ વિનાયક મંદિર.
દેશમાં આમ તો ગણેશજીના ઘણા મંદિરો આવેલા છે. ભગવાન ગણપતિના ચમત્કારોની અનેક કથાઓ સાંભળી હશે અને તેમના ચમત્કારોનો અનુભવ આજે પણ થાય છે. આવા જ ચમત્કારો માટે ચિત્તૂરનું કનિપક્કમ ગણપતિ મંદિર જાણીતું છે. આ મંદિર ચમત્કારો સિવાયના અન્ય કારણે પણ જગવિખ્યાત છે. કનિપક્કમ ગણપતિ મંદિર આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લામાં આવેલું છે. મંદિરની સ્થાપના 11મી સદીમાં ચોલ રાજા કુલોતુંગ ચોલ પ્રથમે કરી હતી. આ પ્રાચીન મંદિરના નિર્માણની કથા પણ રસપ્રદ છે.
મંદિરના નિર્માણનો ઈતિહાસ.
માન્યતા અનુસાર, ઘણા વર્ષો પહેલા અહીં 3 ભાઈ રહેતા હતા. જેમાં એક અંધ, બીજો મૂંગો અને ત્રીજો બહેરો હતો. ત્રણેય ખેતી કરવા કૂવો ખોદતા હતા ત્યારે તેમને એક પથ્થર દેખાયો. વધારે ઊંડું ખોદકામ કરવા પથ્થર ત્યાંથી કાઢ્યોને તરત જ લોહીના ફૂવારા ઉડ્યા. કૂવામાં લાલ રંગનું પાણી ભરાઈ ગયું સાથે જ એક ચમત્કાર પણ થયો. ત્યાં તેમને પાર્વતી પુત્રની પ્રતિમા દેખાઈ. જેના દર્શન કરતાંની સાથે જ ત્રણેય ભાઈઓની વિકલાંગતા દૂર થઈ ગઈ. જોતજોતામાં આ વાત આખા ગામમાં ફેલાઈ અને દૂર-દૂરથી લોકો પ્રતિમાના દર્શનાર્થે આવવા લાગ્યા. ઘણા વિચાર-વિમર્શ બાદ પ્રતિમા ત્યાં જ સ્થાપિત કરવાનો નિર્ણય કર્યો.
દરરોજ વધે છે મૂર્તિનું કદ.
અહીં દર્શન કરવા આવતા ભક્તોનું માનવું છે કે મૂર્તિનો આકાર દરરોજ વધે છે. મૂર્તિના દરરોજ વધતાં પેટ અને ઘૂંટણને જોઈને મૂર્તિનું કદ વધતું હોવાનો અંદાજો લગાવી શકાય છે. કહેવાય છે કે, એક ભક્તે ભગવાન ગણેશને પહેરાવવા એક કવચ અર્પણ કર્યું હતું. જે થોડા જ દિવસોમાં નાનું પડવાને કારણે પ્રતિમાને ન પહેરાવી શકાયું.
નદી પણ છે ચમત્કારિક.
માત્ર ગણેશજીની મૂર્તિ જ નહીં જે નદીની વચ્ચે આ મંદિર આવેલું છે તેના ચમત્કાર પણ ઓછા નથી. રોજબરોજના ઝઘડાને લઈને પણ ભક્તો ગણપતિના દરબારમાં હાજર થઈ જાય છે. નાની-નાની ભૂલો ન કરવાની પણ શપથ લે છે. જો કે ભગવાનના મંદિરમાં પહોંચતા પહેલા ભક્તોએ નદીમાં ડૂબકી મારવી પડે છે.
નદીના ચમત્કારની કથા.
મંદિર પાસે આવેલી નદીની પણ અનોખી વાર્તા છે. લોકવાયકા મુજબ સંખા અને લિખિતા નામના બે ભાઈઓ હતા. બંને કનિપક્કમની યાત્રાએ નીકળ્યા હતા. લાંબી યાત્રાના કારણે બંને થાકી ગયા. ચાલતા-ચાલતા લિખિતાને ખૂબ ભૂખ લાગી. રસ્તામાં આંબાનું એક ઝાડ દેખાયું તો કેરી તોડવાની ઈચ્છા થઈ. તેના ભાઈ સંખ્યાએ રોકવાની કોશિશ કરી પરંતુ લિખિતા એકનો બે ન થયો.
બાહુદા નદી.
સંખાએ પોતાના ભાઈની ફરિયાદ ત્યાં પંચાયતમાં કરતાં સજાના ભાગરૂપે લિખિતાના બંને હાથ કાપી નાખવામાં આવ્યા. કહેવાય છે કે, લિખિતાએ બાદમાં કનિપક્કમ પાસે આવેલી આ જ નદીમાં પોતાના હાથ નાખ્યા અને બંને હાથ જોડાઈ ગયા. ત્યારથી આ નદીનું નામ બાહુદા રાખવામાં આવ્યું. બાહુદાનો અર્થ થાય છે સામાન્ય માણસનો હાથ.
કેવી રીતે પહોંચશો?
મંદિરમાં પ્રવેશતાં પહેલા ભક્તો આ નદીમાં ડૂબકી લગાવીને પોતાના પાપમાંથી મુક્તિ મેળવે છે. આ નદીમાં ડૂબકી લગાવવાથી સઘળા પાપ ધોવાઈ જાય છે તેવી માન્યતા છે. લોકો અહીં ભગવાનની માફી માગીને ફરી ક્યારેય આ પ્રકારની ભૂલ નહીં કરવાની પ્રતિજ્ઞા લે છે. આ મંદિરે આમ તો રેલમાર્ગ અને હવાઈ માર્ગે પહોંચી શકાય છે. પરંતુ સરળતાથી અહીં પહોંચવું હોય તો હૈદરાબાદ સુધી ફ્લાઈટ લેવી અને ત્યાંથી રોડના માર્ગે ચિત્તૂર પહોંચવું. ચિત્તૂર પહોંચવા બસ ટિકિટ ઓનલાઈન પણ બુક કરાવી શકાય છે.
ભગવાન ગણેશનું સૌથી પ્રાચીન મંદિર.
કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લામાં સ્થિત ઈદાગુંજી ગણેશ મંદિરને ઈ.સ. પૂર્વ ચોથી સદીનું માનવામાં આવે છે. આ મંદિર કોણે બનાવ્યું એ તો માલુમ નથી, પરંતું તેની ગણતરી દેશના સૌથી પ્રાચીન અને પશ્ચિમી તટના સૌથી પ્રમુખ ગણપતિ મંદિરોમાં થાય છે. અહીંની પ્રતિમા ખૂબ અનોખી છે, કારણકે અહીં ગણેશજી ઊભી અવસ્થામાં છે. જેમાં ગણેશજીની બે ભૂજાઓ છે, જેમાં એકમાં મોદક અને એકમાં કમળનું ફૂલ છે.