જમ્મુ-કાશ્મીરની શ્રીનગર પોલીસને મોટી સફળતા મળી છે. શ્રીનગરના બેમિના વિસ્તારમાં પોલીસે લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. જો કે આ દરમિયાન એક પોલીસકર્મી પણ ઘાયલ થયો હતો. પોલીસે માહિતી આપી હતી કે બેમિના વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની બાતમી પર, કોર્ડન કરીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. કાશ્મીર ઝોનના પોલીસ મહાનિરીક્ષક વિજય કુમારે જણાવ્યું છે કે પ્રાપ્ત થયેલા દસ્તાવેજો અનુસાર, એક આતંકવાદીની ઓળખ અબ્દુલ્લા ઘોરી તરીકે થઈ છે, જે પાકિસ્તાનના ફૈસલાબાદનો રહેવાસી છે.
અન્ય આતંકવાદીની ઓળખ અનંતનાગ જિલ્લાના આદિલ હુસૈન તરીકે થઈ છે. આદિલ વર્ષ 2018માં પાકિસ્તાન ગયો હતો. પોલીસ અધિકારીએ કહ્યું કે આ આતંકવાદીઓનું એ જ જૂથ છે, જે સોપોર એન્કાઉન્ટરમાંથી ભાગી ગયા હતા. સમાચાર એજન્સી એએનઆઈના અહેવાલ મુજબ, પોલીસ મહાનિરીક્ષકે માહિતી આપી છે કે પાકિસ્તાન સ્થિત હેન્ડલરોએ અનંતનાગના રહેવાસી આતંકવાદી આદિલ હુસૈન મીર સાથે બે પાકિસ્તાની લશ્કર આતંકવાદીઓને મોકલ્યા હતા. આ તમામ 2018થી પાકિસ્તાનમાં હતા અને અમરનાથ યાત્રા પર હુમલો કરવાની તૈયારીમાં હતા. ત્રણેયના મોત થયા છે. તમને જણાવી દઈએ કે 7 જૂને પાકિસ્તાનના લાહોરના હંજલામાં રહેતા એક આતંકીને સોપોરમાં સુરક્ષા દળોએ માર્યો હતો.
આતંકવાદી આદિલ પારે રવિવારે શ્રીનગરમાં એન્કાઉન્ટર દરમિયાન માર્યો ગયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ વર્ષે સુરક્ષા દળોએ 100 આતંકીઓને ઠાર કર્યા છે. આઈજી કાશ્મીર વિજય કુમારના જણાવ્યા અનુસાર, આ આતંકવાદીઓમાં 71 સ્થાનિક અને 29 પાકિસ્તાની આતંકવાદીઓ માર્યા ગયા છે, સુરક્ષા દળોની કાર્યવાહીમાં લશ્કર-એ-તૈયબાના 63 આતંકવાદીઓ માર્યા ગયા છે. જૈશ-એ-મોહમ્મદના બાકીના 24 આતંકવાદીઓ અંસાર ગજવાતુલ હિંદ અને ISJKના આતંકવાદીઓ હતા.