GujaratNewsPolitics

હાર્દિકના સમર્થનમાં નીકળેલી સદભાવના પદયાત્રા ઊંઝા પહોંચી, 12 હજાર પાટીદારો જોડાયાના દાવો

વિધાનસભાની ચૂંટણી બાદ પાટીદારો ફરી એકવાર મેદાનમાં આવી ગયા છે. આમરણાંત ઉપવાસી હાર્દિક પટેલના સમર્થનમાં પાટીદારો દ્વારા આજે રવિવારે પાટણના ખોડિયાર મંદિરથી ઊંઝા ઉમિયા માતા મંદિર સુધી 31 કિલોમીટર લાંબી સદભાવના પદયાત્રા શરૂ થઈ હતી. પદયાત્રામાં કોંગ્રેસના 10 ધારાસભ્યો અને પાટણ સહિત ઉત્તર ગુજરાતના 12 હજારથી વધુ પાટીદારો જોડાવાનો દાવો પાસ સમિતિએ કર્યો હતો.સાંજના સુમારે પાટીદાર સદભાવના પદયાત્રા ઊંઝા ખાતે આવી પહોંચી હતી. પદયાત્રાના સ્વાગત માટે તમામ સમાજના લોકો ઉમટી પડ્યા હતા. જય ઉમા, જય ખોડલના નાથ સાથે ઊંઝા ગુંજી ઉઠ્યું હતું.

આઇબી સહિત પોલીસ તંત્ર પણ સતર્ક: આ પદયાત્રામાં કોંગ્રેસના 10 જેટલા ધારાસભ્યો પણ હાજરી આપવાના હોઇ આઇબી સહિત પોલીસ તંત્ર પણ સતર્ક બની ગયું હતું અને યાત્રા દરમિયાન 250થી વધુ પોલીસનો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો હતો. પદયાત્રા દરમિયાન કોઇ સૂત્રોચ્ચાર નહીં કરવાની સૂચના પાટીદાર આગેવાનો સાથેની બેઠકમાં પોલીસે આપી હતી.

બપોરે 12-30 વાગે બાલીસણા ગામે ભોજન વિરામ: સવારે 8 વાગે પાટણના મોતીશા દરવાજા સ્થિત ખોડિયાર માતાજીના મંદિરે મા ઉમા ખોડલની મહાઆરતી બાદ શાંતિદૂત સફેદ કબૂતર ઉડાડી પદયાત્રાનો આરંભ થયો હતો. યાત્રા સાંજે પાંચ વાગ્યા પહોંચી હતી. જ્યાં મા ઉમા ખોડલના ચરણોમાં પદયાત્રીઓ વતી હૂંડી મૂકવામાં આવશે. બપોરે 12-30 વાગે બાલીસણા ગામે ભોજન વિરામ લઈ રવાના થઈ હતી. રસ્તામાં વિવિધ સમાજો દ્વારા સ્વાગત કરવામાં આવી હતી.

પાટીદારોને જોડવા ગામેગામ બેઠકો કરાઈ: યાત્રાને લઇ મોટી સંખ્યામાં પાટીદાર યુવકો મુંડન કરાવવાના હોઇ રાજકીય માહોલ ગરમાયો હતો. યાત્રામાં જય સરદાર જય પાટીદાર અને જય જવાન જય કિસાનના નારા ગૂંજી ઉઠ્યા હતા. રૂટમાં આવતા વીરપુરુષોના સ્ટેચ્યૂને પુષ્પાંજલીનું આયોજન કરાયું હતું. સૌથી મોટી પદયાત્રા પાટણથી નીકળી તે પ્રકારે પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા કરાયેલા આયોજનને સફળ બનાવવા પાટીદારો મોટી સંખ્યામાં જોડાય તે માટે ગામેગામ બેઠકો કરાઇ હતી. મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠાના 3000 પાટીદારો યાત્રામાં જોડાયા હોવાનું પાસ કન્વીનર હાર્દિક પટેલે (અડિયા) જણાવ્યું હતું.

સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર નહીં કરવા પોલીસની સૂચના: પદયાત્રાને લઇ એ ડિવિઝન પોલીસ મથકમાં પાસના કાર્યકરો સાથે શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં પદયાત્રા દરમિયાન કોઇના વિરોધી સૂત્રોચાર ન કરવા પોલીસે સૂચના આપી હતી. બેઠકમાં ડીવાયએસપી જે.ટી.સોનારા સહિત પોલીસ અધિકારીઓ તેમજ પાસના હાર્દિક પટેલ, વી.કે. પટેલ, ભરત પટેલ, હિરેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ડીવાયએસપીએ સૂત્રોચ્ચાર અંગે કોઇ સૂચના નહીં આપ્યાનું જણાવ્યું હતું.

યાત્રામાં 250થી વધુનો પોલીસ બંદોબસ્ત: યાત્રા દરમિયાન 2 ડીવાયએસપી, 6 પીઆઇ, 19 પીએસઆઇ, 150 પોલીસ, 20 બોર્ડર વિંગના જવાનો અને 104 હોમગાર્ડ જવાનો તૈનાત કરાયા હતા. યાત્રા દરમિયાન પાટણ જનતા હોસ્પિટલની 10 તબીબો સાથે એમ્બ્યુલન્સ સાથે રહી હતી. 100 સ્વયંસેવકો વ્યવસ્થા જાળવી હતી.

13 શરતોને આધિન યાત્રા-લાઉડ સ્પીકરની મંજૂરી અપાઇ: ધાર્મિક હેતુસર યોજાયેલી સદભાવના પદયાત્રાને પાટણ મામલતદાર દ્વારા મંજૂરી અપાઇ હતી. જેમાં હાલમાં અમલી જાહેરનામાના અમલ, ટ્રાફિકને અડચણ નહીં બનવા, કોમી લાગણી દુભાય તેવા સૂત્રોચ્ચાર નહીં કરવા સહિતની 13 શરતોને આધિન પદયાત્રા સંઘ અને લાઉડ સ્પીકર વગાડવાની મંજૂરી અપાઇ હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker