વીંછીઓ એ કર્યો હુમલો: ઇજિપ્તમાં રેતીના તોફાન પછી વીંછીઓ ના હુમલામાં 500થી વધુ બીમાર, 3નાં મોત..

ઇજિપ્ત માં દક્ષિણી શહેર અસ્વાનમાં આજકાલ વીંછીનો આતંક છે. તેનું કારણ જોરદાર વાવાઝોડું અને ત્યારબાદ આવેલા વિનાશક વરસાદ હતો. વીંછીએ ૫૦૦ થી વધુ લોકોને ડંખ માર્યો છે જેમાં ત્રણ લોકોના મોત થયા છે. વાવાઝોડા, ભારે વરસાદ અને પૂરને કારણે વીંછી જમીનની નીચેથી નીકળીને શેરીઓ, ઘરો, ઓફિસો, બજારો અને પર્યટન સ્થળો તરફ આગળ વધ્યા હતા. તેઓ કુદરતી આપત્તિથી બચવા માટે બહાર નીકળ્યા, રસ્તામાં તેમને જેનાથી જોખમ લાગ્યું તેને ડંખ માર્યો.

શનિવારે સરકારી અખબાર અલ-અહરામ દ્વારા પ્રકાશિત સમાચારમાં લખ્યું હતું કે ત્રણ લોકોનાં મોત થયાં છે. જેમાં તેમણે આરોગ્ય મંત્રાલયના એક અધિકારીનો ઉલ્લેખ કર્યો છે. પરંતુ તેના થોડા સમય બાદ અસ્વાનના ગવર્નર મેજર જનરલ અશરફ અતિયાએ કહ્યું હતું કે ત્રણ લોકોના મોત થયા હોવાના સમાચાર ખોટા છે. જોકે તેમણે સ્વીકાર્યું હતું કે વીંછીના કરડવાથી 500થી વધુ લોકો બીમાર પડ્યા છે.

12 નવેમ્બર, 2021ના શુક્રવારે અસ્વાન અને આસપાસના વિસ્તારોમાં જોરદાર વાવાઝોડું આવ્યું હતું. અહી કેટલાક વિસ્તારો સૂકા, કેટલાક લીલા અને કેટલાક રણ છે. વરસાદ અને પૂરને કારણે પાણી ભૂગર્ભમાં ઉતરી જતાં વીંછી બહાર આવ્યા હતા. રાજ્યપાલ અશરફ અતિયાએ જણાવ્યું હતું કે ૮૦ થી વધુ લોકો હજી પણ હોસ્પિટલમાં દાખલ છે. બાકીનાને સારવાર બાદ ઘરે મોકલવામાં આવ્યા હતા. ૩૦૦૦ થી વધુ એન્ટિવેનમ દવાઓ હોસ્પિટલોમાં મોકલવામાં આવી છે. વીંછીદ્વારા મોટા ભાગના હુમલા ગ્રામીણ વિસ્તારોમાં થયા છે. બીજો ડર સાપ કરડવાનો પણ છે, જોકે સાપ કરડવાનો હજી સુધી કોઈ કેસ નોંધાયો નથી.

Scroll to Top