ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લામાં ભૂસ્ખલનની હૃદયદ્રાવક તસવીર સામે આવી છે. ધારચુલાના તવાઘાટ લિપુલેખ રોડ પર આવેલા નજાંગ પાસે મોડી સાંજે અચાનક પહાડનો મોટો ભાગ ધરાશાઇ થઇ ગયો અને રોડ પર પડ્યો હતો. સદનસીબે આ ભૂસ્ખલનના કારણે કોઈ જાનહાની કે કોઇને ઇજા પહોંચી નથી. આ ભૂસ્ખલનનો વીડિયો ત્યાંથી પસાર થતા એક રાહદારીએ બનાવ્યો હતો જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ભૂસ્ખલનને કારણે તવાઘાટ લિપુલેખ હાઇવે સંપૂર્ણ રીતે વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. રસ્તો બંધ થવાના કારણે સ્થાનિક લોકોની સાથે 40 મુસાફરો બુંદીમાં અટવાયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ રસ્તો ગુરુવારે જ ખોલવામાં આવ્યો હતો પરંતુ ભૂસ્ખલનને કારણે ટ્રાફિક ઠપ થઈ ગયો છે.
બે દિવસ પહેલા જ સતત વરસાદને કારણે કેદારનાથ હાઈવે પર ભૂસ્ખલન થયું હતું. સદનસીબે ત્યાંથી પસાર થતા વાહનો ડુંગરના કાટમાળ નીચે ન આવ્યા. વરસાદના કારણે ચારધામ યાત્રાને પણ અસર થઈ રહી છે.
Tehsil Dharchula (Pithoragarh) Uttarakhand pic.twitter.com/XS5GLoU28S
— jitendra (@dharchula) September 23, 2022
બુધવારે સાંજે કેદારનાથ હાઇવે પર ફાટા પાસે પહાડી પરથી એક મોટો ભૂસ્ખલન થયો હતો. ત્યાં જ હાઇવે પર ટેકરી પરથી ટનબંધ કાટમાળ અને પથ્થરો પડ્યા હતા. સદનસીબે ટેકરી પરથી પડતો કાટમાળ જોતા વાહનચાલકો અટકી ગયા હતા. જોકે પેસેન્જર બસને થોડું નુકસાન થયું હતું.
વરસાદ બાદ ભૂસ્ખલનને કારણે બદ્રીનાથ અને કેદારનાથ હાઈવે પર અનેક જગ્યાએ વાહનવ્યવહાર ખોરવાઈ રહ્યો છે. કલાકો સુધી મુસાફરો જામમાં અટવાયા છે. છેલ્લા એક સપ્તાહથી અવિરત વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.