રાજકોટ આવેલા રાજ્યકક્ષાના શહેરી વિકાસ મંત્રી વિનોદ મોરડીયાએ તેના નિવેદન માં કહ્યું હતું કે રાજકોટ શહેરમાં નોન-વેજની લારીઓ બંધ કરવામાં આવશે. ધાર્મિકસ્થળો પર આ પ્રકારની પ્રવૃત્તિ નહીં ચલાવી લેવાય. બીજી તરફ રાજકોટમાં નોન-વેજની લારીઓ હટાવો ઝુંબેશને લઇને મેયર ડો.પ્રદીપ ડવને અભિનંદન પણ પાઠવ્યા હતા.
વર્ષોથી રાજકોટના લોકોની માગ હતી કે, મહાનગરોમાં નોન-વેજની લારીઓના દબાણ હટાવવામાં આવે. રસ્તાઓ ઉપરના ઢોરને પકડવાની ઝુંબેશ પણ રાજકોટની અંદર જડપથી ચાલી રહી છે. રાજકોટના મેયર અને કર્મચારીઓની ટીમને પણ આ બદલ અભિનંદન આપું છું. વર્ષોથી લોકોની જે માગ હતી એ મેયર આદરથી પુરી કરી રહ્યા છે.
રાજકોટની અંદર જે વિસ્તાર ડેવલપ થઈ રહ્યો છે ત્યાં નવા નવા કામોની માગ છે. રામવન, રિવરફ્રન્ટ, તળાવનું ડેવલોપમેન્ટ સહિતના કામોની દરખાસ્ત મનપા કરશે તેને રાજ્ય સરકાર પ્રાથમિકતા આપશે. નોન-વેજની લારીઓને લઇને ધાર્મિક સ્થળોની ફરિયાદને પ્રાથમિકતા આપવામાં આવશે.
વિનોદ મોરડિયાએ વધુમાહિતી આપતા કહ્યું હતું કે, મારો ગુજરાતભરના પ્રવાસ માં આજે હું રાજકોટ આવ્યો છું. મહાનગરો સાથે મહત્વની બેઠક કરી હતી. તેમજ ઔધ્યોગિક વિસ્તારમાં વર્ષોથી રસ્તાનો જે પ્રશ્ન હતો તેના નિવારણ માટે 9.40 કરોડના રોડનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું. રાજ્ય સરકારની નેમ છે કે, રાજ્યમાં બધા જ લોકોને પ્રાથમિક સુવિધાઓ વહેલી તકે ઉપલબ્ધ કરાવવામાં આવે. આથી આ કામને વહેલી તકે આગળ વધારી રહ્યા છીએ.