ગુજરાતમાં ‘તૌકતે’ નામના વાવાઝોડાનું જોખમ વધ્યું, આ તારીખે ગુજરાતમાં મચાવશે હાહાકાર
કોરોના કહેર વચ્ચે ગુજરાત માટે મુશ્કેલી સામે આવી રહી છે. 16 મેના રોજ ગુજરાત પર ‘તૌકતે’ નામનું વાવાઝોડું આવી શકે છે. આ આગાહી હવામાન વિભાગદ્વારા કરવામાં આવી છે.
હવામાન વિભાગ અનુસાર, આ અઠવાડિયાના અંતે જ આ વર્ષનું પહેલું વાવાઝોડું સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે હાહાકાર મચાવી શકે છે. હવામાન વિભાગ મુજબ, 14 મેના રોજ અરબી સમુદ્રમાં હવાનું દબાણ સર્જાઈ શકે છે.
જે 15 મેના રોજ ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશનમાં બદલાઈ શકે તેવી સંભાવનાઓ રહેલી છે. ત્યારબાદ 16 મે ના તે વાવાઝોડાના રૂપમાં સક્રિય બની શકે છે. હવામાન વિભાગ અનુસાર, વાવાઝોડાની સાથે વરસાદ પણ આવી શકે છે. તેમ છતાં અત્યારે કોઈ પણ પ્રકારની ચિંતાની પરિસ્થિતિ ઉભી થઇ નથી. તમામ સ્થિતિ પર ધ્યાન રાખવામાં આવી રહ્યુ છે. તૌકતેનો અર્થ વધુ અવાજ કરતી ગરોળી છે. આ નામ મ્યાનમાર તરફથી આપવામાં આવ્યું છે.
ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે વધુ એક આફતના એંધાણ દેખાતા વહીવટી પ્રશાસન સચેત બન્યું છે.
અરબી સમુદ્રમાં સર્જાનારું સંભવિત વાવાઝોડું કચ્છ જિલ્લામાં ત્રાટકે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જ્યારે કચ્છ જિલ્લામાં કોસ્ટગાર્ડ સહિતની એંજસીઓ અત્યારથી જ સતર્ક બની ગઈ છે. તેની સાથે દરિયામાં માછીમારી માટે ગયેલી બોટને કિનારે પરત ફરવા માટે કહેવામાં આવ્યું છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર 15 તારીખના રોજ અરબી સમુદ્રમાં વાવાઝોડું સક્રિય થવાની સંભાવનાઓ રહેલી છે. આગામી ત્રણ-ચાર દિવસમાં ગુજરાત મહારાષ્ટ્ર અને ગોવાના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાવાઝોડું આવી શકે છે.