મધ્ય પ્રદેશના ભોપાલમાં વેબ સીરિઝ આશ્રમ-3ના શૂટિંગ દરમિયાન બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા ભારે હંગામો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા પ્રકાશ ઝા પર શાહી ફેંકી અને શૂટિંગનું કામ કરી રહેલા કર્મચારીઓને માર મારવામાં આવ્યો હતો. બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા વેનિટી વાન સહિત પાંચ વાહનો પર તોડફોડ પણ કરવામાં આવી. બજરંગ દળના હુમલામાં ચારથી પાંચ કર્મચારીઓ ઈજાગ્રસ્ત પણ થયા છે.
જ્યારે ઘટનાની જાણ થતા જ પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસની ટીમ દ્વારા આ કાર્યકર્તાઓને દુર કરી દેવામાં આવ્યા હતા. જ્યારે ઈજાગ્રસ્ત કર્મચારીઓને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે જાણવા મળ્યું છે કે, જૂની જેલના રસ્તામાં ગાડીઓ રોકીને તેમાં તોડફોડ કરી હતી. આ દરમિયાન એક ન્યૂઝ ચેનલની યુનિટ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન લગભગ એક કલાક સુધી ટ્રાફિક જામ જોવા મળ્યો હતો.
બજરંગ દળ તરફથી તથા કથિત રીતે પ્રકાશ ઝાની ફિલ્મના સેટ પર તોડફોડ કરવા મામલે ભોપાલ ડીઆઈજી ઈરશાદ અલી દ્વારા કહેવામાં આવ્યું છે કે, જે પણ તોફાની તત્વો હતા, તેમને પરિસરમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે. કોઈને ઈજા થઈ નથી. તોફાની તત્વોની ઓળખ કરી તેમની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જ્યારે આ ઘટના બાદ ડાયરેક્ટર પ્રકાશ ઝા તરફથી કોઈ સ્ટેટમેન્ટ સામે આવ્યું નથી. તેમણે પોલીસમાં ફરિયાદ કરવાનો ઈનકાર કર્યો છે. જ્યારે બજરંગ દળે પ્રકાશ ઝા પર આરોપ લગાવ્યો છે કે, તેઓ હિંદુ ધર્મને બદનામ કરી રહ્યા છે. તેમણે પોતાની વેબ સીરિઝ આશ્રમનું નામ બદલવું પડશે નહીં તો ભોપાલમાં શૂટિંગ કરવા દેવામાં આવશે નહીં. જાણવા મળી રહ્યું છે કે, ઘટના સમયે વેબ સીરિઝમાં કાશીપુર વાલે બાબા નિરાલાની ભૂમિકા નિભાવી રહેલા અભિનેતા બોબી દેઓલ પણ ત્યાં હાજર હતા.