‘કરણ-અર્જુન’ ફિલ્મના ‘મુનશીજી’ ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી કેમ ગાયબ થઇ ગયા? જાણો અહીં
ફિલ્મ કરણ અર્જુન તેના યુગની ખૂબ જ લોકપ્રિય ફિલ્મ હતી. આ ફિલ્મમાં સલમાન ખાન અને શાહરૂખ ખાન મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા અને બંનેનું પાત્ર લોકોને ખૂબ પસંદ આવ્યું હતું. જો કે આ ફિલ્મમાં બીજા પણ ઘણા પાત્રો હતા, પરંતુ જે પાત્ર લોકોને ખૂબ પસંદ આવ્યું અને તે પાત્ર હતું મુનશીજી.
આ ફિલ્મમાં અભિનેતા અશોક સરાફ મુનશીજીના રોલમાં જોવા મળ્યા હતા. બોલિવૂડ તેમજ મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની જોરદાર કોમેડી અને ઉત્તમ અભિનયથી લાખો લોકોના દિલો પર રાજ કરનાર અભિનેતા અશોક સરાફ આજે લાઈમલાઈટથી ઘણા દૂર ચાલ્યા ગયા છે.
કોણ છે અશોક સરાફ
અશોક સરાફનો જન્મ 4 જૂન, 1947ના રોજ મુંબઈમાં થયો હતો. તેમના પિતાનો મુંબઈમાં ઈમ્પોર્ટ-એક્સપોર્ટનો ધંધો હતો. તેમણે મુંબઈની ડીજીટી સ્કૂલમાંથી સ્કૂલનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. અશોકના પિતા ઈચ્છતા હતા કે પુત્ર અભ્યાસ બાદ સારી નોકરી મેળવે, પરંતુ અશોકને નાનપણથી જ અભિનયનો શોખ હતો. તેથી જ તેઓ કોલેજના અભ્યાસ દરમિયાન ‘થિયેટર’માં જોડાયા હતા. આ સમય દરમિયાન તેમણે અનેક નાટકોમાં અભિનય કર્યો હતો.
કેવી હતી ફિલ્મી કરિયર
અશોક સરાફે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં અલગ-અલગ પાત્રો ભજવ્યા હતા. બોલિવૂડ સિવાય તેમણે મરાઠી ફિલ્મો અને ટીવી શોમાં પણ કામ કર્યું છે. અશોક સરાફે કરણ અર્જુન, ‘કોયલા’, ‘ગુપ્તા’, ‘યસ બોસ’, ‘બંધન’, ‘પ્યાર કિયા તો ડરના ક્યા’, ‘બેટી નંબર 1’, ‘ઝોર કા ગુલામ’, ‘જોડી નંબર 1’માં કામ કર્યું છે. ‘ તેમણે ‘સિંઘમ’ સહિત 70 થી વધુ ફિલ્મોમાં પોતાની શાનદાર કોમેડી દર્શાવી છે.
તેઓ અત્યારે ક્યાં છે અને શું કરી રહ્યા છે
અશોકજીની છેલ્લી ફિલ્મ સિંઘમ હતી, તે ફિલ્મમાં તેઓ અજય દેવગન સાથે હેડ કોન્સ્ટેબલ પ્રભુ સાવલકરના રોલમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મ 2011માં રિલીઝ થઈ હતી. આ પછી તે 2020માં મરાઠી ફિલ્મ ‘પ્રભાસ’ માં જોવા મળ્યા હતા, જોકે હવે અભિનેતાએ પોતાને ફિલ્મી દુનિયાથી દૂર કરી લીધા છે, અને તેઓ તેમના પરિવાર સાથે સુખી જીવન જીવી રહ્યા છે.