લગ્નના સાત જ દિવસમાં યુવતી લાખો રૂપિયા રોકડા તેમજ સોનાના દાગીના લઈ રફુચક્કર થઈ ગઈ
જૂનાગઢ જિલ્લામાં વધુ એક યુવક લૂટેરી દુલ્હનનો શિકાર બન્યો છે. મળતી માહિતી પ્રમાણે જૂનાગઢ તાલુકાના આંબલીયા ગામના સતીશને લગ્નની લાલચ આપી જૂનાગઢના જોશીપરામાં રહેતા અને પતી-પત્નીની ઓળખાણ આપનાર ભરત મહેતા અને અરૂણા મહેતાએ એક છોકરી સાથે ઓળખાણ કરાવી હતી. બંનેએ કહ્યું હતું કે, યુવતી તેની સંબંધીની દીકરી છે અને તેનું નામ ભગવતી છે.
આ રીતે બંનેએ યુવકને લગ્નની લાલચ આપી હતી. ભરત અને અરુણાના કહેવા પ્રમાણે ભગવતી અને સતીશના લગ્ન પણ થયા હતા. જોકે, ભગવતી ફક્ત સાત જ દિવસમાં સતીશના ઘરેથી 70 હજાર રૂપિયાનો મોબાઇલ, એક લાખથી વધુના દાગીના અને રોકડ લઈને રફુચક્કર થઈ ગઈ હતી. લગ્નની લાલચે સતીશ સાથે કુલ 2.75 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. થોડા દિવસો બાદ યુવતીની કથિત માતા ધનુબેન અને કાકા મુન્નાભાઈ ઉર્ફ અનિરુદ્ધસિંહ ગોહિલ જૂનાગઢના આંબલીયા ગામ ખાતે આવ્યા હતા.
અહીં ભોગ બનનારા સતીશ અને ભગવતીની મુલાકાત થઈ હતી. આ દરમિયાન બંનેના લગ્ન થયા હતા. જોકે, લગ્ન પહેલા આ ટોળકીએ સતીશ પાસેથી રૂપિયા 50 હજાર લીધા હતા. જે બાદમાં 20 ઓગસ્ટ, 2020ના રોજ સતીશ અને ભગવતીના લગ્ન કરાવી નાખ્યા હતા. લગ્ન વખતે ઠગ ટોળકીએ બીજા 20 હજાર રૂપિયા લીધા હતા. લગ્નમાં અંદાજીત એક લાખ રૂપિયાના ધરેણા અને નવવધૂને સતીશે ગિફ્ટમાં 70 હજારનો મોબાઇલ ફોન આપ્યો હતો.
આઠ દિવસ બાદ કન્યાના કહેવાતા પરિવારજનો ભગવતીની માતા તેના કાકા આંબલીયા ગામ ખાતે આવ્યા હતા. તમામ કહ્યુ હતું કે, દીકરીને ધરે લઈ જવી છે. થોડા દીવસ બાદ રિવાજ મુજબ તમે ભગવતીને તેડી જજો. આવું કહીને ભગવતી રોકડા રૂપિયા અને ઘરેણા સહિત તમામ વસ્તુઓ સાથે લઈ ગઈ હતી. આ દરમિયાન ભગવતીને 20 હજારૂ રૂપિયાની જરૂર છે તેમ કહીને બીજા રોકડા રૂપિયા પણ લીધા હતા.
થોડા દીવસો પછી સતીશ તેમજ તેમના પરિવારજનોએ ભગવતીને ફોન કર્યો તો ફોન બંધ આવતો હતો. બીજા અનેક પ્રયાસો કર્યા પણ કંઈ પત્તો ન લાગતા સતીશને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. જે બાદમાં સતીશે જૂનાગઢના ભરત મહેતા તેની પત્ની અરૂણા, કન્યા ભગવતી, તેની માતા ધનુબેન અને કાકા મુન્નાભાઈ ઉર્ફે અનિરુદ્ધ સિંહ ગોહીલ વિરૂદ્ધ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ ઠગ ટોળકીને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.