અમદાવાદઃ પાસ કન્વીનર હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે 8મો દિવસ છે. હાર્દિકે અન્ન બાદ જળ ત્યાગ પણ કરતા તેનું વજન સતત ઘટવા લાગ્યું છે અને સ્વાસ્થ્ય પણ કથળી રહ્યું છે. જેને પગલે ગઈકાલે ગઢડા સ્વામિનારાયણ મંદિરના એસ પી સ્વામી સહિતના આગેવાનોએ હાર્દિકને જળ ત્યાગ મૂકીને પાણી પીવાની સલાહ આપી હતી. જો કે આમ છતાં હાર્દિક ટસનો મસ થયો નહોતો. તો બીજી તરફ રાજ્ય સરકાર તરફથી હજુ સુધી કોઇ પણ પ્રકારનો પ્રતિભાવ મળ્યો નથી કે કોઈ અણસાર પણ ન હોવાથી આ લડત લંબાઈ શકે છે. જેના કારણે પાસના કાર્યકરો અને શુભેચ્છકો દ્વારા જો લડત ચાલુ રાખવી હોય તો પાણી પીને ઉપવાસ કરવા ભારે દબાણ કરવામાં આવ્યું છે.
આજે મળવા આવશે અમિત ચાવડા
હાર્દિક પટેલના વિજય સંકલ્પ આમણાંત ઉપવાસના આઠમા દિવસે તેને સમર્થન આપવા દેશભરમાંથી લોકો આવવાના છે, ત્યારે આજે બપોરે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા પણ મળવા આવશે.
હાર્દિકના ઘરે 24 કલાક એમ્બ્યુલન્સ રાખવા પોલીસે લખ્યો પત્ર
આ દરમિયાન હાર્દિકની તબિયત વધુ ખરાબ થઇ રહી હોવાના અણસાર શરૂ થતા પોલીસ અને ગુજરાત સરકાર ઉંઘતી ના ઝડપાઇ જાય એટલે પાસના અગ્રણી નિખિલ સવાણીને લેખિતમાં સોલા પોલીસની હદમાં ઉપવાસ સ્થળ આવતું હોવાથી ઇન્સ્પેક્ટર દ્વારા જણાવાયું છે કે, હાર્દિકની તબિયતને ધ્યાનમાં રાખીને એક એમ્બ્યુલન્સ તેના નિવાસ સ્થાને 24 કલાક તૈનાત રખાશે. જેથી હાર્દિકને તકલીફ વધે તો એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર માટે લઇ જઇ શકાય.
પોલીસના પત્ર બાદ પણ ન આવી એમ્બ્યુલન્સ
જો કે સોલા પોલીસના આ પત્ર પછી પણ એમ્બ્યુલન્સ નિવાસ સ્થાને આવી નહીં હોવાનું પાસ દ્વારા જણાવામાં આવ્યું હતું. જો હાર્દિકની તબિયતની ચિંતા હોય તો નિવાસ સ્થાને જ એમ્બ્યુલન્સ રાખવા પણ માગણી કરાઇ છે.
અમદાવાદથી સાબરકાંઠા અને સુરતમાં દેખાવો
સરકાર વહેલી તકે માગણીઓ સ્વીકારે અને હાર્દિકના સ્વાસ્થ્ય સારૂ રહે તેમજ સમર્થનમાં અમદાવાદના વસ્ત્રાલમાં સવારે રામધૂનનો કાર્યક્રમ શરૂ કરાયો હતો. તે ઉપરાંત ઘૂમા, સુરેન્દ્રનગર, સુરત તથા સાબરકાંઠાના અનેક ગામમાં પણ ઉપવાસ-દેખાવો યોજાયા હતા.