BJP સાંસદ શત્રુધ્ન સિન્હાનો મોદી પર ઉઠાવ્યા સવાલ, ચૂંટણીમાં PAK ને જોડવાની જગ્યાએ વિકાસ પર ધ્યાન આપો

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં એક રેલી દરમિયાન વડાપ્રધાન મોદીએ કોંગ્રેસને પાકિસ્તાનથી મદદ મળી રહી હોવાના કરેલા નિવેદનમાં હવે બીજેપી સાંસદ શત્રુધ્ન સિન્હા પણ કૂદી પડ્યા છે. તેમણે આ વખતે સીધો જ પીએમ મોદી પર સવાલ ઉઠાવ્યો છે. બોલિવૂડમાં શોટગનના નામથી જાણીતા શત્રુધ્ન સિન્હાએ ટ્વિટ કરીને કહ્યું કે, જે વિકાસ મોડલનો વાયદો કર્યો હતો તે વિકાસના મુદ્દા પર વાત કરો.

શત્રુધ્ને તેના ટ્વિટર હેન્ડલ પર લખ્યું કે, ‘સર નવા નવા ટવિસ્ટ અને ભરપાઇની કોશિશ કરવાના બદલ તમે એવા મુદ્દા પર વાત કરો, જેમાં તમે વિકાસ મોડલનો વાયદો કર્યો હતો. જેમકે આવાસ, વિકાસ, યુવાનોને રોજગારી, સ્વાસ્થ્ય અને શિક્ષણ. સાંપ્રદાયિકતા ફેલાવતું વાતાવરણ અટકાવો અને સ્વસ્થ રાજનીતિમાં પરત ફરો. જય હિન્દ.’

મહત્વનું છે કે રવિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાલનપુરમાં એક ચૂંટણી રેલીમાં સંબોધિત કરતા આરોપ લગાવ્યા હતા કે પાકિસ્તાન ગુજરાત ચૂંટણીમાં દખલ કરી રહ્યું છે.

મોદીએ દાવો કર્યો હતો કે વરિષ્ઠ નેતા મણિશંકર ઐયરના દિલ્હી સ્થિત આવાસ પર ત્રણ કલાક સુધી ખાનગીમાં મીટિંગ યોજાઇ હતી. જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સહિત પાકિસ્તાનના નેતાઓ પણ સામેલ હતા.

મોદીએ કહ્યું હતું કે આ બેઠકમાં પાકિસ્તાનના પૂર્વ  ઉચ્ચાયૂક્ત, પાકના પૂર્વ  વિદેશ મંત્રી, ભારતના પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહ અને પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી સામેલ થયા હતા. બીજી તરફ મોદીના આ નિવેદનથી પાકિસ્તાન પણ ખુશ નથી. અને પાકના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ એક નિવેદનમાં કહ્યું કે ભારતે પોતાની ચૂંટણીમાં પાકિસ્તાનને વચ્ચે ન લાવવું જોઇએ તથા પોતાના દમ પર ચૂંટણી જીતવી જોઇએ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top