અમદાવાદઃ હાર્દિક પટેલના ઉપવાસના છેક આઠમા દિવસે પાટીદાર સંસ્થાઓના પ્રતિનિધિઓ હાર્દિકની ઉપવાસી છવાણી જઈ મુલાકાત કરી હતી. ત્યારબાદ આજે બપોર બાદ એસપીજીના લાલજી પટેલે ઉપવાસી છાવણી પહોંચી હાર્દિકને સમર્થન આપ્યું હતું. મુલાકાત બાદ લાલજી પટેલે સરકારને ચેતવણી આપી હતી કે, પાટીદારેને એવોઇડ કરશો તો 2019માં તેનું પરિણામ ભોગવવું પડશે. આ પહેલા પાટીદાર સંસ્થાઓના પ્રતિનિધિઓએ હાર્દિકને મળીને ઉપવાસ સમેટી લેવાની વિનંતી કરી હતી. આજે સવારે જ હાર્દિક પટેલ જળગ્રહણ કરીને ઉપવાસ ચાલુ રાખ્યા હતા. તેના થોડા જ કલાકોમાં એકાએક પાટીદાર સંસ્થાઓના આગેવાનો હાર્દિકને મળવા પહોંચી જતાં ટૂંક સમયમાં હાર્દિકના આમરણાંત ઉપવાસનું સમાધન થઈ શકે છે તેવા સંકેતો જણાઈ રહ્યા છે.
હાર્દિક પટેલને મળીને શું કહ્યું લાલજી પટેલે?
લાલજી પટેલ હાર્દિક પટેલની મુલાકાત બાદ લાલજી પટેલે જણાવ્યું હતું કે, ઉપવાસ આંદોલન મજબૂત કરવા SPG, PASS અને સમાજની અગ્રણી સંસ્થાઓ સાથે વાતચીત કરી હતી. હાર્દિકની તબિયત લથડતા આજે રાહ જોયા વગર મળવા પહોંચ્યો હતો. મારી કાર રોકી હાર્દિક પાસે જતા અટકાવવામાં આવ્યા હતા. પાટીદાર સમાજને એવોઇડ કરશો તો 2019માં તેનું પરિણામ ભોગવવું પડશે. હું હાર્દિક ને કહી ચુક્યો છું કે એક મજબૂત આંદોલનકારીઓની ટીમ બનાવીએ. આંદોલન કરવા પોતાનું શરીર મજબૂત રાખવું જરૂરી છે, સરકાર સાથે લડવા યુવાનોને પણ મજબૂત રહેવું જરૂરી છે.
ખોડલધામના ટ્રસ્ટી પણ મુલાકાતે
હાર્દિક પટેલના વિજય સંકલ્પ આમરણાંત ઉપવાસ ને સમર્થન આપવા માટે ખોડલધામ ટ્રસ્ટ વતી ટ્રસ્ટીશ્રી દિનેશભાઈ ચોવટીયા સહિત ત્રણ ટ્રસ્ટીઓ હાર્દિક પટેલના નિવાસસ્થાન પર ટૂંક સમયમાં પહોંચશે.
કન્હૈયા કુમારે સમર્થન કર્યું
છેલ્લા 8 દિવસથી આમરણાંત ઉપવાસ પર ઉતરેલા હાર્દિકના સમર્થનમાં JNUના પૂર્વ વિદ્યાર્થી નેતા કન્હૈયા કુમારે હાર્દિકને સમર્થન કર્યું હતું. તબીયત ખરાબ હોવા છતાં લડાઈ ચાલુ રાખીને કરોડો યુવાઓના અવાજને ઉઠાવવા સંઘર્ષ કરી રહ્યો હોવાની ટ્વિટ કરી હતી
આંદોલનની માંગણીને લઇ અમે યુવાનોની સાથે સરકાર સાથે ચર્ચા કરીશું
ઊંઝા ઉમિયા ધામના પ્રમુખ, તેમજ સીદસર સંસ્થાના પ્રમુખ જેરામ બાપા સહિત અન્ય સંસ્થાના આગેવાનો હાર્દિક પટેલના સમર્થનમાં ઉપવાસ છાવણીની મુલાકાતે પહોંચ્યા હતા. ત્યાં જેરામ બાપાએ જણાવ્યું હતું કે, સંસ્થામાં આંદોલનને સમર્થન કરવાનો ઠરાવ થયેલો છે. આંદોલનની માંગણીને લઇ અમે યુવાનોની સાથે સરકાર સાથે ચર્ચા કરીશું. આર્થિક માપદંડના ધોરણે વિચારવાની જરૂર છે. આંદોલન શરૂ થયું ત્યારથી મધ્યસ્થી તરીકે છું. અત્યાર સુધી કોઇ નક્કર નિર્ણય નથી થયો હતો. સમાજના આગેવાનો મધ્યસ્થીનો પ્રયાસ કરે છે. ઝઘડો આંદોલનકારી અને સરકાર વચ્ચે છે. પાણીનો ત્યાગ કર્યો હતો એટલે તેને પાણી પીવડવા આવ્યા હતા. આનો સુખદ ઉકેલ આવે તેવો સંસ્થાનો ઉદ્દેશ છે.
ઉપવાસનો આજે 8મો દિવસ
પાસ કન્વીનર હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે 8મો દિવસ છે. હાર્દિકનું વજન સતત ઘટી રહ્યું છે અને સ્વાસ્થ્ય પણ કથળી રહ્યું છે. બે દિવસ જળ ત્યાગ કર્યા બાદ હાર્દિકે આજે સવારે એસ.પી.સ્વામીના હાથે પાણી પીધું હતું. જો કે હાર્દિકે પાણી ભલે પીધું પણ તે અન્ન લેશે નહીં અને ઉપવાસ ચાલુ રાખશે.
હાર્દિક પટેલના વિજય સંકલ્પ આમરણાંત ઉપવાસના આઠમા દિવસે તેને સમર્થન આપવા દેશભરમાંથી લોકો આવવાના છે, ત્યારે આજે બપોરે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા પણ મળવા પહોંચ્યા હતા. તેમની સાથે કોંગ્રેસના ધારાસભ્યો અને રાજ્યસભા સાંસદ હાજર રહ્યા હતા.
ઉત્તરાખંડના પૂર્વ સીએમનું હાર્દિકને સમર્થન
ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ કોંગ્રેસી નેતા હરિશ રાવતે સંદેશો પાઠવીને હાર્દિકના ઉપવાસ આંદોલનને સમર્થન કર્યું હતું.