ભારતમાં હવે ટ્વીટરની ચકલી પાંજરે પૂરાશેઃ સરકાર કરી શકે છે કાર્યવાહી

ભારતમાં હવે ટૂંક જ સમયમાં ટ્વીટરની ચકલી પાંજરે પૂરાવા જઈ રહી છે. મહત્વનું છે કે, થોડા સમય પહેલા ભારત સરકારે સોશિયલ મીડિયા કંપનીઓ માટે દિશા-નિર્દેશ જાહેર કર્યા હતા. અને તમામ સોશિયલ મીડિયા કંપનીઓને આ દિશા-નિર્દેશોનું પાલન કરવા જણાવ્યું હતું. જો કે, ટ્વીટ આ મામલે આડુ ફાટ્યું હતું અને અભિવ્યક્તિની આઝાદી જેવા ગતકડા કરીને સરકારના દિશા-નિર્દેશો માન્યા નહોતા.

ત્યારે હવે મર્યાદા પૂર્ણ થતા ભારત સરકાર એક્શનમાં આવી છે અને ટ્વીટર પર હવે કાર્યવાહી થશે. ટ્વિટર તરફથી 25મી મેથી લાગૂ થયેલા નવા આઈટી નિયમો નું અનુપાલન હજુ સુધી થયું નથી. જેને લઈને સરકાર તરફથી આ એક્શન લેવાયું છે. હવે ટ્વિટર વિરુદ્ધ આઈપીસીની કલમો હેઠળ કેસ દાખલ થઈ શકે છે અને પોલીસ પૂછપરછ પણ કરી શકે છે.

ભારતમાં હવે કોઈ યુઝરે ગેરકાયદેસર વાતો કરી, ભડકાઉ પોસ્ટ નાંખી અથવા પછી કંઈ પણ આડી-અવળી હરકતો કરી તો આ માટે સીધું ટ્વિટરને જવાબદાર ઠેરવવામાં આવશે. સરકારે ટ્વિટરને ભારતીય IT એક્ટની કલમ 79 અંતર્ગત મળેલા સુરક્ષાના અધિકારને પાછો લઈ લીધો છે.

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ સ્થિત લોનીમાં મુસ્લિમ વૃદ્ધની પીટાઈના કેસને સાંપ્રદાયિક રંગ આપવાના આરોપમાં પોલીસે ટ્વિટર અને અન્ય 8 લોકો વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી છે. જેમના પર ધાર્મિક ભાવનાને  ભડકાવવાનો આરોપ લાગ્યો છે.

Scroll to Top