ગુજરાતમાં વેપારી, ફેરિયા, હોટેલ- રેસ્ટોરન્ટ સહિતના વેપારી એકમોના માલિકો, સંચાલકો અને સ્ટાફને કોવિડ-19 સામેની વેક્સિન લેવા માટે 31 જુલાઈને શનિવારે છેલ્લો દિવસ હતો. રસી ન લેનાર વેપારી 1 ઓગસ્ટથી ધંધો કરી શકશે નહી તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી. જો કે રસીની અછત અને વેપારીઓની ઉદાસીનતા બંન્નેના કારણે હજી મોટા પ્રમાણમાં વેપારીઓ રસીકરણથી વંચિત છે. જેના કારણે વેપારી એસોસિએશનની માંગ હતી કે, રસીકરણ અંગેની તારીખ લંબાવવામાં આવે. જેના પગલે સરકાર દ્વારા વેપારીઓ માટે ફરજીયાત રસીકરણની તારીખ લંબાવીને 15 તારીખ કરી દેવામાં આવી છે.
રાજ્યમાં કોરોનાની વેક્સિનનો મર્યાદિત પ્રમાણમાં જથ્થો હોવાના કારણે હજુ પણ ઘણા લોકો વેક્સિન લઈ શક્યા નથી. એવામાં વેપારીઓની ફરિયાદ હતી કે, સેન્ટરના ધક્કા ખાવા છતાં વેક્સિનનો જથ્થો ખુટી રહેતા તેમને ખાલી હાથે પાછા ફરવું પડે છે. એવામાં તેમની ફરજિયાત વેક્સિન લેવાની સમયમર્યાદા વધારવાની વિનંતીને સરકારે સ્વીકારી લીધી છે.
કોરોના મહામારી પર લગામ કસવા માટે રાજ્યના તમામ વેપારીઓને ગુજરાત સરકારે 31 જુલાઈ સુધીમાં વેક્સિન લેવા માટે આદેશ આપ્યો હતો. પરંતુ હવે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કોર કમિટીની બેઠક બાદ તમામ વેપારીઓને મોટી રાહત આપવામાં આવી છે. 31 જુલાઈએ પૂર્ણ થતી રસી લેવાની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે અને હવે વેપારીઓ 15 ઓગસ્ટ સુધી વેક્સિન લઇ શક્શે.
31 મી જુલાઈ અને શનિવારે રસીકરણ કેન્દ્ર ઉપર પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે. વાણિજિયક સંસ્થાઓ, લારી-ગલ્લાઓ, શોપિંગ કોમ્પલેક્ષ, માર્કેટીંગ યાર્ડ, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર, રેસ્ટોરેન્ટસ, અઠવાડીક ગુજરી/બજાર/હાટ તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિઓ સાથે સંકળાયેલ લાભાર્થીઓ, જીમ, વાંચનાલયો, કોચીંગ સેન્ટરો, ટયુશન કલાસીસ, પબ્લિક તેમજ પ્રાઈવેટ બસ ટ્રાન્સપોર્ટના ડ્રાઈવર, કંડકટર તેમજ અન્ય સ્ટાફ, રમત-ગમતમાં ભાગ લેનારા ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ ગ્રાઉન્ડ, સિનેમા થિયેટરો ઓડીટેરીયમ એસ્મેબલી હોલ, મનોરંજન સ્થળો, વોટરપાર્ક, તથા સ્વિમીંગ પુલ વગેરેના ઉપરોકત તમામ માલિકો, સંચાલકો, કમર્ચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલા વ્યકિતઓને કોરોના વેકસિનનો પ્રથમ ડોઝ તારીખ ૩૧-૭-ર૧ના રોજ લેવાનો રહેશે.