આમ આદમી પાર્ટી સાથે કોંગ્રેસ મિત્રતામાં રસ નથી દાખવતી, કેજરીવાલે ‘વાયદા’ સાથે ફરી હાથ લંબાવ્યો

કેન્દ્ર સરકારના અધ્યાદેશને કાયદો બનતા રોકવા માટે વિપક્ષી પાર્ટીઓનું સમર્થન એકત્ર કરી રહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે ડાબેરી નેતા સીતારામ યેચુરી સાથે મુલાકાત કરી હતી. આ બેઠક પછી બંને નેતાઓએ મીડિયાની સામે આવી કહ્યું કે તેઓ સાથે મળીને કેન્દ્રના આ પગલાનો વિરોધ કરશે. આ દરમિયાન અરવિંદ કેજરીવાલે કોંગ્રેસ દ્વારા આમ આદમી પાર્ટી સાથે ગઠબંધનનો વિરોધ કરવા પર પોતાની પ્રતિક્રિયા પણ વ્યક્ત કરી હતી. આને લોકો અને બંધારણની લડાઈ ગણાવતા કેજરીવાલે ફરી એકવાર અપીલ કરી હતી કે તમામ પક્ષોએ સાથે આવવું જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે આવતીકાલે જો સરકાર રાજસ્થાન વિરૂદ્ધ આવો અધ્યાદેશ લાવશે તો તેઓ સમર્થન કરશે.

આ કેજરીવાલનો મુદ્દો નથી-અરવિંદ કેજરીવાલ

કોંગ્રેસમાં AAP સાથે ગઠબંધનને લઈને ચાલી રહેલા વિવાદ વિશે પૂછવામાં આવતા કેજરીવાલે કહ્યું કે હું અખબારોમાં જે વાંચું છું અને તેમના નિવેદનો સાંભળું છું. તેઓ કહી રહ્યા છે કે તેઓ કેજરીવાલને સમર્થન નહીં આપે. આ મુદ્દો કેજરીવાલનો નથી. આ મુદ્દો દેશની લોકશાહી સાથે જોડાયેલો છે, દિલ્હીની જનતાના અપમાનનો મુદ્દો બંધારણ સાથે જોડાયેલો છે.

કેજરીવાલે સમર્થન માટે ફરી કરી અપીલ

અરવિંદ કેજરીવાલે ફરી એકવાર સમર્થન માટે અપીલ કરી હતી અને કહ્યું હતું કે ભવિષ્યમાં જો સરકાર કોંગ્રેસ શાસિત રાજ્ય વિરુદ્ધ અધ્યાદેશ લાવશે તો તેઓ પણ તેને સમર્થન આપશે. તેમણે કહ્યું, ‘હું તેમને વિનંતી કરું છું કે કેજરીવાલને સમર્થન ન આપો, પરંતુ મોદી સરકારે જે દિલ્હીની જનતા પાસેથી તમામ સત્તા છીનવી લીધી છે, તે દિલ્હીની જનતા સાથે ઉભા રહો. આવતીકાલે જો રાજસ્થાન સામે આવો અધ્યાદેશ લાવવામાં આવશે તો અમે સાથે ઊભા રહીશું. અમે એમ નહીં કહીએ કે કોંગ્રેસની વાત છે કે ભાજપની વાત છે. આપણે દેશની સાથે ઊભા રહેવાનું છે.

Scroll to Top