બે સોસાયટીઓ દ્વારા જાહેર રોડ પર ખાળકુવાનું ગંદુ પાણી છોડવામાં આવતા AMC દ્વારા કરવામાં આવ્યો 20-20 લાખનો દંડ

રામોલને લઈને મોટી જાણકારી સામે આવી છે. જેમાં AMC દ્વારા બે સોસાયટીને ખાળકુવાનું ગંદુ પાણી રસ્તા પર છોડતા મોટો દંડ ફટકારવામાં આવ્યો છે. AMC દ્વારા આ સોસાયટીને ૨૦-૨૦ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

નોંધનીય છે કે, રામોલ હાથીજણ વોર્ડ લાંબા સમયથી મ્યુનિસિપલ હદમાં ભેળવવામાં આવ્યો છે પરંતુ તેમના અનેક વિસ્તારમાં હજુ પણ ગટર, પાણીની પ્રાથમિક સુવિધાઓ પહોંચી શકી નથી. આ વોર્ડની અનેક સોસાયટીમાં હજુ પણ ખાળકૂવા રહેલા છે. તેમાં પણ રામોલ – હાથીજણની ધી ધર્મવાટિકા અને બાલેશ્વર સિલ્વરલાઇન હાઉસિંગ સોસાયટી દ્વારા જાહેર રસ્તા પર ગંદું પાણી છોડીને રોડને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. તેના લીધે AMC દ્વારા આ બે સોસાયટીને ૨૦-૨૦ લાખનો દંડ ફટકારવામાં આવતા નોટીસ પાઠવવામાં આવી છે.

જેમાં પૂર્વ ઝોન ઇજનેર વિભાગમાં ભક્તિપથ રોડ પર આવેલી બાલેશ્વર સિલ્વરલાઇન અને ધર્મવાટિકા સોસાયટીને ખાળકૂવાનું પાણી રોડ પર છોડવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. તેની સાથે 7 દિવસમાં બંને સોસાયટીને દંડની રકમ ભરી દેવાની સૂચના પણ અપાઈ છે. ગંદુ પાણી રોડ પર ફરી વળતા ટીપી રોડને નુકસાન પહોંચ્યું છે. પૂર્વ ઝોનના ઈજનેર ખાતા દ્વારા અગાઉ પણ બંને સોસાયટીના રહીશોને પાણી ન છોડવાની ચેતવણી આપવામાં આવી હતી. તેમ છતાં બંને દ્વારા કોઈ પગલાં ભરવામાં આવ્યા નહોતા. મ્યુનિ. રોડને થયેલા નુકસાન બદલ આ દંડ વસૂલ કરવામાં આવશે. 7 દિવસમાં દંડ ન ભરે તો AMC દ્વારા વધુ કાર્યવાહી કરવામાં આવશે.

તેની સાથે ખાળકુવાઓ ખાલી કરવાની અને તેના પાણી રસ્તા પર ના જાય તેની જવાબદારી સબંધીત સોસાયટીની રહે છે. જો તેઓ તેમ કરવામાં કસુરવાર ઠરે તો ગંદા પાણી રસ્તા પર આવતા રોગચાળો ફેલાવાની શક્યતા વધી જાય છે.

જ્યારે આ સોસાયટીઓ હવે જ્યાં સુધી દંડની રકમ ભરશે નહીં ત્યાં સુધી મ્યુનિ. પાર્ટીને લગતી સુવિધા આપવામાં આવશે નહીં. સામાન્ય રીતે ગટરનું જોડાણ કે પાણીના જોડાણ આપતા પહેલા મ્યુનિ.ના બાકી લેણાં સોસાયટીએ પૂરા કરેલા હોવા જરૂરી છે. આવી સ્થિતિમાં જો આ બંને સોસાયટી તે લેણાં જમા કરાવશે નહીં તો ગટર-પાણીના જોડાણો મળવામાં વિક્ષેપ ઉભો થઈ શકે છે. પૂર્વ કોર્પોરેટર અતુલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે કે, ફ્લેટ કે બિલ્ડિંગ બને ત્યાં જો ખાળકૂવા હોય તેની ક્ષમતાની યોગ્ય ચકાસણી મ્યુનિ. દ્વારા થવી જરૂરી છે. રહેણાંક મકાનોની ક્ષમતા મુજબ જો ખાળકૂવા ન હોય તો તેવી બિલ્ડિંગને બીયુ પરમિશન આપવામાં ન આવે.

Scroll to Top