GujaratNewsPolitics

અજમેર શરીફની મુલાકાત પહેલા હાર્દિક પટેલે કહ્યું, “હું હિંદૂ છું પરંતુ ધર્મના નામે રાજનીતિ નથી આવડતી”

હિંદૂત્વ અંગેના પોતાના વિચારો અંગે ટ્વિટ કર્યાના કલાકો બાદ જ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે રાજસ્થાનના અજમેર શરીફમાં આવેલા ખ્વાજા ગરીબ નવાઝની દરગાહ પર માથું ટેકવવા જવાનું નક્કી કર્યું. એક યુવા મંચ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ભાગ લેવા માટે હાર્દિક પટેલ હાલ રાજસ્થાનના ચિત્તોડગઢમાં છે. હાર્દિક પુષ્કરમાં આવેલા બ્રહ્મા મંદિરમાં પણ દર્શન કરવા જશે.

હાર્દિક પટેલે સહયોગી TOI સાથેની વાતચીતમાં જણાવ્યું કે, “હું ચિત્તોડગઢમાં છું ત્યારે મારા કેટલાંક મિત્રોએ આગ્રહ કર્યો કે પુષ્કરમાં આવેલા બ્રહ્મા મંદિરમાં દર્શન કરવા જવું જોઈએ. તો કેટલાક મિત્રોએ અજમેર શરીફની મુલાકાત લેવાનું જણાવ્યું. ત્યારે હવે હું બંને સ્થળે જવાનો છું.” મહત્વનું છે ગયા મહિને VHPના પૂર્વ અધ્યક્ષ પ્રવીણ તોગડિયાને તેમાંથી હાંકી કાઢવામાં આવ્યા ત્યારે હાર્દિકે તોગડિયાને ટેકો જાહેર કર્યો હતો.

પાસના સૂત્રોએ જણાવ્યું કે, હાર્દિક સુરેંદ્રનગરના પાસના કન્વીનર હસુ પટેલ સાથે અજમેર શરીફ જશે. હાર્દિકની નજીકના પાસના સભ્યએ જણાવ્યું કે, “હાર્દિકનો યુવા નેતા તરીકે ઉદય થઈ રહ્યો છે ત્યારે તેને પોતાની છબિ બિનસાંપ્રદાયિક નેતા તરીકેની બનાવવી છે. જેથી તે પોતાને દરેક ધર્મ-સમાજનો નેતા ગણાવી શકે.”

હાર્દિકે જણાવ્યું કે, “ઘણા નેતાઓ પોતાની રાજકીય મહેચ્છાઓ સંતોષવા માટે અજમેર શરીફ જાય છે અને ઈચ્છાઓ પૂરી થયા બાદ પણ શીશ ઝૂકાવે છે. હું ધર્મને આધારે થતી રાજનીતિ સમજતો નથી અને ક્યારેય કરી પણ નહીં શકું. હું હિંદૂ છું પરંતુ હું એવા હિંદૂત્વમાં નથી માનતો જેમાં ધર્મના નામે લોકોની હત્યા કરી નાખવામાં આવે.”

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker