ગુજરાતને એજ્યુકેશન હબ બનાવવા માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય

રાજ્યના વિદ્યાર્થીઓને વર્લ્ડ ક્લાસ એજ્યુકેશન આપી ગુજરાતને એજ્યુકેશનલ હબ બનાવવા રાજ્યના કુલ બજેટના સૌથી વધુ 14.41 ટકા જેટલી રૂ. 32,719 કરોડની રકમ શિક્ષણ વિભાગના બજેટને ફાળવવામાં આવી છે. રાજ્યમાં વિદ્યાર્થીઓ માટે શાળાઓમાં ઇન્ફ્રાસ્ટ્રકચર તેમજ સ્માર્ટ કલાસીસ સહિતની વ્યવસ્થાઓ મારફતે આ સરકારે બે દાયકામાં ડ્રોપ આઉટ રેશિયો 18.79 ટકાથી ઘટાડી 3.39 ટકા જેટલો નીચો લાવી દીધો છે. ભૂતકાળની સાપેક્ષમાં પાછલા બે-અઢી દાયકામાં સ્ટુડન્ટ કલાસરૂમ રેશિયો પણ એક વર્ગ ખંડ દિઠ 38 થી ઘટાડી 27 અને 40 વિદ્યાર્થી દિઠ એક શિક્ષકથી હવે 28 વિદ્યાર્થી દિઠ એક શિક્ષક સુધી લઇ જવાયો છે.

શિક્ષણના સુદ્રઢીકરણ માટે શાળામાં પૂરતા શિક્ષકોની અનિવાર્યતા આવશ્યક છે. આ કારણે જ, રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં 3900 વિદ્યાસહાયકો, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણમાં 5810 અને ઉચ્ચશિક્ષણ-કોલેજોમાં 927 અધ્યાપક સહાયકોની ભરતી આવનારા સમયમાં થવાની છે. રાજ્ય સરકારે છેલ્લાં પાંચ વર્ષમાં સરકારી માધ્યમિક શાળાઓમાં કુલ 13,962 તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કુલ 3921 શિક્ષકોની ભરતી કરી છે.

એટલું જ નહીં, સરકારી કોલેજોમાં કુલ 452 તેમજ અનુદાનિત કોલેજોમાં કુલ 1585 આચાર્ય, પ્રાધ્યાપકોની પણ ભરતી કરવામાં આવી છે. વળી, રાજ્ય સરકારે છેલ્લા પાંચ વર્ષમાં કુલ 500 સરકારી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક સહિતની શાળાઓને મંજૂરી આપી છે. રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે લેવામાં આવેલા અનેક નિર્ણયોને કારણે છેલ્લા બે દાયકામાં સાક્ષરતા દર 2001માં 69.14 ટકા સાક્ષરતા દર હતો તે હવે 78.03 ટકા પર પહોંચ્યો છે.

પરીક્ષાનું પ્રશ્નપત્ર ગોડાઉનથી લઇને કલાસરૂમ સુધી પહોચતા સુધી સંપૂર્ણ સુરક્ષિત અને સીલ બોક્ષમાં છે તેની જડબેસલાક ખાતરી માટે શિક્ષણ વિભાગે ખાસ મોબાઇલ એપ્લીકેશન પેપર બોક્ષ ઓથેન્ટીકેશન એન્ડ ટ્રેકિંગ એપ્લીકેશન ( PATA ) વિકસાવી છે. સંપૂર્ણ પારદર્શિતાથી આ કામગીરી થાય છે. એટલું જ નહિ, ધો-10 અને 12ની જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિને કોઇ જ અવકાશ ન રહે તે માટે પરીક્ષા કેન્દ્રો ઉપર વીજીલન્સ સ્કવોડ, સી.સી.ટીવી કેમેરા અને ટેબ્લેટથી સતત દેખરેખ રાખવામાં આવે છે.

૨૧મી સદીમાં ટેકનોલોજીના મહત્તમ ઉપયોગથી શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ આપી શકાય તે હેતુસર આગામી 6 વર્ષમાં ‘મિશન સ્કુલ ઓફ એક્સલન્સ’ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે. ગુજરાતનો વિદ્યાર્થી વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરી શકે તે હેતુથી રાજ્ય સરકાર આ પ્રોજેક્ટને અમલમાં મૂકી રહી છે. ‘મિશન સ્કુલ ઓફ એક્સલન્સ’ પ્રોજેક્ટ માટે વર્લ્ડ બેંક,એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ઈન્વેસ્ટમેન્ટ બેંક (AIIB) તેમજ એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB) પાસેથી કુલ રૂ. 6375 કરોડનું ભંડોળ મેળવી રાજ્યની શાળાઓના જર્જરીત ઓરડાઓનું રીપેરીંગ કામ તેમજ નવા બનાવવાની કામગીરી પણ કરવામાં આવશે.આ મિશન હેઠળ 15,000 સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ તથા ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓને આવરી લઇ, આ શાળાઓમાં સિવિલ અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રકચરને અત્યાધુનિક કરવામાં આવશે.

રાજ્યમાં આવેલી ઐતિહાસિક મહત્વ અને વિશષ્ટ પ્રકારના હેરિટેજ સ્થાપત્ય ધરાવતી પ્રાચીન શાળાઓના નવિનીકરણ માટે ‘હેરિટેજ સ્કુલ્સ રીનોવેશન પ્રોગ્રામ’ માટે 25 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. વળી, સૌને માટે શિક્ષણનો અધિકાર રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત શાળાઓમાં RTE હેઠળ અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં કુલ 3,86,272 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે.

રાજ્યની સંવેદનશીલ સરકારે કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા દેશભરમાં જ્યારે લોકડાઉન જાહેર થયું, ત્યારે મધ્યાહન ભોજન યોજના હેઠળ નોંધાયેલા તમામ 50.35 લાખ વિદ્યાર્થીઓને 16 માર્ચ 2020થી 1 ફેબ્રુઆરી 2021 સુધી એટલે 247 શાળાના દિવસો દરમ્યાન તમામ વિદ્યાર્થીઓને ફૂડ સિક્યુરિટી એલાઉન્સીસ અંતર્ગત રૂ. 731.75 કરોડના ખર્ચે અને 1,48,117 મેટ્રિક ટન અનાજની ફાળવણી તબક્કાવાર કરવામાં આવી હતી.

Scroll to Top