કોરોનાએ પરમાર પરિવારને વેરવિખેર કર્યો: બે ભાઈઓના નિધન, આઠ બાળકોને સંભાળે છે કાકા

અમદાવાદથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. 47 વર્ષીય વિક્રમ પરમારના પરિવાર માટે કોરોના વાયરસ જાણે કાળ બનીને આવ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. કોરોનામાં તેમના બે ભાઈ તેમજ એક ભાભીને 20 દિવસમાં ભોગ લઇ લિધો છે. હવે વિક્રમભાઈના માથે પોતાના ત્રણ સંતાનો સિવાય બંને મૃતક ભાઈઓના પાંચ બાળકોને સંભાળવાની જવાબદારી આવી ગઈ છે. જ્યારે એમાંથી આ આઠ બાળકોમાંથી બે સેરેબ્રલ પાલ્સીથી પીડાય રહ્યા છે.

જયારે વિક્રમભાઈનો પગાર 30,000 રૂપિયા છે અને પરિવાર પાસે જે ખેતીલાયક જમીન રહેલી છે તેમાંથી થનારી આવક અલ્પ રહેલી છે. એવામાં બાળકોની સારી રીતે કાળજી લેવી અસંભવ બની છે, તેમ વિક્રમભાઈ દ્વારા જણાવવામાં આવ્યુ છે. “તેમ છતા હાલ તો અમારો પરિવાર સાથે છે અને સાથે રહીને એકબીજાને હિંમત આપી રહ્યો છે”, તેમ તેમણે જણાવ્યું હતું.

કોરોના મહામારીના કારણે માતા-પિતા ગુમાવનારા બાળકોને સરકાર તરફથી સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે આ બાબતમાં વિક્રમ પરમારનું કહેવું છે કે, આ યોજનાનો લાભ મેળવવા તે ભાઈઓ અને ભાભીના મરણના પ્રમાણપત્રની રાહ જોઈ રહ્યા છે. “મેં તાલુકા વિકાસ અધિકારી સાથે વાત પણ કરી છે અને તેમણે મને ખાતરી આપી છે કે, જાહેરાત પ્રમાણેની સહાય સરકાર તરફથી તમને જરૂર મળશે. તેમ છતાં, આઠ બાળકોની કાળજી લેવાનું કામ મને નીચોવી નાખશે”, તેમ વિક્રમ પરમારે જણાવ્યું હતું.

વિક્રમ પરમારના સૌથી મોટાભાઈ બિપિન પરમારનું 21 મેના રોજ 53 વર્ષની વયે અવસાન થયું હતું. બિપિનભાઈને કોરોના થયા બાદ બાપુનગર જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બિપિનભાઈ પોતાની પાછળ પત્ની જ્યોતિ (42 વર્ષ), દીકરીઓ ધરતી (22 વર્ષ) અને હેતલ (21 વર્ષ) તેમજ દીકરા હર્ષ (3 વર્ષ) ને એકલા મૂકી ચાલ્યા ગયા હતા. બિપિનભાઈનો દીકરો હર્ષ સેરેબ્રલ પાલ્સીથી પીડિત છે.

વિક્રમભાઈના નાના ભાઈ રાજેશ (46 વર્ષ) અને પત્ની મીનાક્ષી (37 વર્ષ) પણ કોરોનાના ભોગ બની ગયા હતા. રાજેશનું નિધન અસારવા સિવિલ હોસ્પિટલમાં 10 મેના રોજ થયું હતું જ્યારે તેમની પત્ની મીનાક્ષીનું નિધન 29 મેના રોજ યુ.એન.મહેતા હોસ્પિટલમાં નિપજ્યું હતું. રાજેશ અને મીનાક્ષીનું અવસાન થતાં તેમના બંને બાળકો પ્રતિક (15 વર્ષ) અને વિશ્વા (3 વર્ષ) અનાથ થઇ ગયા હતા.

હાલમાં વિક્રમભાઈ અને તેમની પત્ની મીના પોતાના ત્રણ સંતાનો- ક્રિષ્ના (20 વર્ષ), કિંજલ (18 વર્ષ) અને મનન (15 વર્ષ)ની સાથે બિપિનભાઈ અને રાજેશભાઈના બાળકોની સંભાળ રાખી રહ્યા છે. વિક્રમભાઈની દીકરી કિંજલ પણ સેરેબ્રલ પાલ્સીથી પીડિત છે.

આ ત્રણેય ભાઈઓનો પરિવાર અમદાવાદના નરોડાથી 10 કિલોમીટર દૂર આવેલ વહેલાલ ગામમાં વસવાટ કરે છે. બિપિન અને રાજેશ ખેતી કરવાનું કામ કરતા હતા. જ્યારે વિક્રમભાઇ શહેરની બસ સેવામાં બસ કંડક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. જ્યારે એ વાય સ્પષ્ટ છે કે કોરોનાએ અનેક લોકોની જિંદગી બગાડી છે.

Scroll to Top