બુદ્ધની વિશાળ પ્રતિમા તોડી, તિબેટીયન ભિક્ષુઓની બળજબરીથી ધરપકડ કરીને મારપીટ કરી રહ્યું છે ડ્રેગન

ચીનની સરમુખત્યારશાહી ફરી એકવાર દુનિયા સામે છતી થઈ ગઈ છે. એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે સિચુઆન પ્રદેશમાં ચીનના વહીવટીતંત્ર દ્વારા ઘણા તિબેટીયન ભિક્ષુઓની ધરપકડ કરવામાં આવી હતી અને માર મારવામાં આવ્યો હતો. હકીકતમાં, તાજેતરમાં ચીને ભગવાન બુદ્ધની એક વિશાળ પ્રતિમા તોડી નાખી છે.

ચીની અધિકારીઓને શંકા હતી કે તિબેટીયન ભિક્ષુઓએ તેની હરકતો વિશે બહારના લોકોને કહ્યું હતું. જે બાદ આ શંકાના દાયરામાં આવીને તેણે તિબેટના ભિક્ષુઓ સાથે આ બર્બરતા કરી છે. એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે દેશની લુઓ કાઉન્ટી (ડ્રેગો)માં 99 ફૂટ ઊંચી બુદ્ધની પ્રતિમાને નષ્ટ કરી દેવામાં આવી છે.

અહેવાલ અનુસાર, ચીનના અધિકારીઓએ ડિસેમ્બર મહિનામાં પ્રતિમાને ખૂબ ઊંચી હોવાનું કહીને નષ્ટ કરી દીધી હતી. અહેવાલમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સ્થાનિક તિબેટના ભિક્ષુઓને બળજબરીથી આ ક્રિયા બતાવવામાં આવી હતી. વાસ્તવમાં ચીન તિબેટની રાષ્ટ્રીય સંસ્કૃતિને જડમૂળથી ઉખેડી નાખવા માંગે છે અને આવું આ અભિયાન હેઠળ કરવામાં આવ્યું છે.

એક મીડિયા રિપોર્ટમાં એક સ્ત્રોતને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ડ્રેગોના ગાડેન નામગ્યાલ મઠમાંથી અત્યાર સુધીમાં 11 ભિક્ષુઓની ધરપકડ કરવામાં આવી છે. આ તમામ પર આરોપ છે કે તેઓએ પ્રતિમાને તોડી પાડવાનો વીડિયો અને ફોટો શેર કર્યો છે. મઠના ભિક્ષુઓની ધરપકડ કરીને ચીની અધિકારીઓએ કહ્યું કે તેમને પાઠ ભણાવવાની જરૂર છે.

એવી વાત પણ સામે છે કે તેમની સાથે નિર્દયતાથી મારપીટ કરવામાં આવી છે અને તેમને જેલમાં ખાવાનું પણ આપવામાં આવ્યું નથી. એક ભિક્ષુને એટલો માર મારવામાં આવ્યો છે કે તેની એક આંખ પર ગંભીર ઈજા થઈ છે. ન્યૂયોર્કની માનવાધિકાર કાર્યકર્તા સોફી રિચર્ડસને બુદ્ધની પ્રતિમાને તોડી પાડવા અને તિબેટના સાધુઓ પર થતા અત્યાચાર વિશે કહ્યું કે ચીનમાં આ ધર્મનું પાલન કરનારા લોકોને કાયદાકીય કે બંધારણીય અધિકારો મળતા નથી.