જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કહ્યું છે કે આર્ટિકલ 370ને ફરી લાગુ કરવાની માગ મૂર્ખતાપૂર્ણ છે. જમ્મુ-કાશ્મીરના 14 વરિષ્ઠ નેતાઓની સાથે વડાપ્રધાન મોદીની મીટિંગના એક દિવસ બાદ ઈન્ડિયન એક્સ્પ્રેસને આપેલા ઈન્ટરવ્યુમાં ઓમરે કહ્યું છે કે ભાજપને આર્ટિકલ-370ના પોતાના રાજકીય એજન્ડાને પૂરા કરવામાં 70 વર્ષ લાગી ગયાં. અમારો સંઘર્ષ તો હજુ શરૂ થયો છે.
નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષે કહ્યું કે, “અમે લોકોને એમ કહીને મૂર્ખ નથી બનાવવા માગતા કે અમે આ મીટિંગ્સની મદદથી 370 પરત લાવીશું. આ આશા રાખવી જ મૂર્ખતા છે. હાલની સરકાર દ્વારા કલમ-370ને ફરી લાગુ કરવાના કોઈ જ સંકેત મળ્યા નથી.”
24 જૂને PM મોદીની સાથે ત્રણ કલાકથી વધુ ચાલેલી બેઠકમાં ઓમર તે પાંચ લોકોમાંથી એક હતા, જેમણે મીટિંગ દરમિયાન એક શબ્દ પણ ઉચ્ચાર્યો ન હતો. તેમના સિવાય નિર્મલ સિંહ, તારા ચંદ, ગુલામ-એ-મીર અને રવીન્દ્ર રૈના પણ મીટિંગમાં શાંત જ રહ્યા હતા. ઓમરે મીટિંગને એક શરૂઆત ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે આ પ્રથમ પગલું છે અને એવો વિશ્વાસ છે પુનર્નિર્માણ માટે આ બેઠક એક પુલ જેવું કામ કરશે.
ઓમરે જણાવ્યું હતું કે ‘મીટિંગમાં વડાપ્રધાને પોતે જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી, સીમાંકન પ્રક્રિયા ઝડપી બનાવવા, જમ્મુ-કાશ્મીરમાં ચૂંટાયેલી સરકાર અને એને રાજ્યનો દરજ્જો આપવા અંગે વાત કરી હતી.’ તેમણે કહ્યું હતું કે જિલ્લા વિકાસ પરિષદની ચૂંટણી પછી આ બેઠક કરવા માટે ઘણા જ ઉત્સુક હતા, કેમ કે આ ગત વર્ષે કોરોનાની શરૂઆત પછી તેમની સૌથી મોટી બેઠક હતી.